અનોખો ઉકળાટ આ, ધરતી ગગન એથી
તપે તેમ જલે નિરંતર અગ્નિજ્વાળ થકી
અનિલ અનલ બની ફરે દાનવ ચતુર્દિશ કો
હોય ફરતો તેમ, ના શાતા જરીય ધરે
છાંય વૃક્ષોની, સતત અકળાય આ સઘળો
ચરાચરનો પ્રાણ, ત્યાં તો ગગન મંડળમાં
અભ્ર આતુર આવતાં ઠંડક વહાવી દે
વૃષ્ટિ કેવી શાંત જગવે નવ્ય જીવનને !
આત્મકેરો અવનવીન અનાદિ આ ઉકળાટ
જલાવે અંગાંગને, પીડિત કરી દે પ્રાણ—
નાં સકળ પરમાણુઓને, જિંદગી આખી
મૃત્યુની આવૃત્તિ સરખી બનાવે નિશદિન,
એ શમે ક્યારે; તમારા દિવ્ય અનુગ્રહની
અલૌકિક વર્ષા વરસી રહે ત્યારે.
- શ્રી યોગેશ્વરજી