મારી મુક્તિ મરણ પછી નથી મળવાની;
એ તો જીવન દરમિયાન જ,
અહીં અને અત્યારે જ, મળેલી છે.
મળેલી છે એમ કહું એના કરતાં
મારી સાથે છે,
સંગિની કે સહચરી છે,
એવું કહું એ ઉચિત લેખાશે.
હું મુક્ત જ છું.
મુક્ત હતો ને મુક્ત છું.
*
મરણાન્તરે તમને મેળવવાનો મનોરથ
મેં કદાપિ નથી સેવ્યો.
તમને જીવન દરમિયાન
અહીં અને અત્યારે જ મેળવવાનો
મારો સંકલ્પ હતો.
તમારા અલૌકિક અનુગ્રહથી એની પૂર્તિ
અથવા સિદ્ધિ થઈ છે.
તમે મને મળ્યા એવું કહું એના કરતાં
આપણે મળેલા જ હતા, સદાના સાથી હતા એવું કહું
એ અધિક ઉચિત લેખાશે.
આપણે એક જ હતા,
સ્વેચ્છાથી બે બનેલા તો પણ
અંદરખાને એક જ હતા.
- શ્રી યોગેશ્વરજી