હિમાચ્છાદિત રસેભીની સુખની પ્રતિમાસમી
ઐશ્વર્ય જનની જેવી અમૃતા અલકાપુરી
થકી પ્રિયતમા કેરા શાંતિદાયક સંગથી
બની વંચિત પૃથ્વીમાં આર્ત અંતરની લઈ
પ્રદીપિકા હતો પેલો વિરહી યક્ષ વાસતો;
માણ્યો આસ્વાદ આત્માએ એવા કારુણ્ય કાવ્યનો.
માનવી મૃત્યુલોકે આ યક્ષશો દીસતો મને
વ્યથાગ્રસ્ત સદા ત્રસ્ત ને અશાંતિથકી ભર્યો
ઊંડી બંધન કે કલેશે પીડાએ પરિતાપથી
ઉદ્વિગ્ન, ઠરવા કેરું ઠામ એને મળ્યું નહીં;
સચ્ચિદાનંદ પોતાના શુદ્ધબુદ્ધ સ્વરૂપથી
ભ્રષ્ટ દૈન્યતણી જાણે જીવતી જ પ્રતિચ્છબી.
અમંગલથકી એના નિત્ય આવૃત અંતરે
મેઘાચ્છન્ન નભે આભા પ્રકટે ઈન્દ્રચાપની
સ્મૃતિ તેવી સદા જાગે પોતાના મૂળ ધામની
બની પ્રેરક આત્માની અક્ષયા અલકાપુરી-
મહીં સ્થિતિ સદા કાજે કૃતકૃત્ય કરાવવા
પ્રશાંતિની પ્રિયા કેરો ને વિશ્લેષ શમાવવા
આશા તો માનવી માટે ત્યાં-લગી મૃત્યુલોકમાં.
- શ્રી યોગેશ્વરજી