દ્વિતીયાના પર્વે પુનિત યમુનાસ્નાન કરતાં
મનુષ્યો કૈં સ્નેહે મધુર મથુરા કે વ્રજમહીં
જઈને તેડું કે કદિક પણ ના'વે યમતણું
મળ્યાં ત્યારે ભાવે હૃદય ભરતાં ભ્રાત ભગિની.
કરી ભાલે દૈવી તિલક કરમાં પુષ્પ ધરતાં
કહ્યું બેને, જીવો જુગજુગ સુધી બંધુ મુજ આ
અને પામો લક્ષ્મી-સુખ-વિભવ ને કીર્તિ પરમા,
બધી આકાંક્ષાઓ સફળ બનજો સિદ્ધ જગમાં.
ખર્યું અશ્રુ ત્યારે પ્રણયભર ભ્રાતાનયનથી
કહેતાં ભૂલાયે નવ, સુખદ મારે ય ભગિની !
- શ્રી યોગેશ્વરજી