સામ્રાજ્ય ?
સામ્રાજ્યતણી સ્પૃહા ના
સિંહાસનોની નવ કે અપેક્ષા
રાખી કદી જન્મ ધરી જગે મેં
અતૃપ્ત ઐશ્વર્યતણો વિચાર ના
કરે કદી, ના પદ કે પ્રતિષ્ઠા—
ના ખ્યાલ ભૂતાવળશા ભમાવી
દે ચિત્તને; વૈભવની તમન્ના
શકી જગાવી નવ આગ અંતરે.
સામ્રાજ્ય સ્વપ્ને પણ ના ચહું હું,
સામ્રાજ્યને શાશ્વત કિન્તુ સ્નેહનું
પામી મહાવૈભવમાં સદા ફરું;
સિંહાસને લેશ વિરાજવાનું
સૌભાગ્ય કોઈ ઉરમાં મળે તો
સાર્થક્ય આ જીવનું જરા ગણું.
- શ્રી યોગેશ્વરજી