નગ્નતાનો નાચ માંડ્યો માનવે.
વસ્ત્ર છે જ નહીં પછી શું વસ્ત્રને
કરે એ પરિધાન ?
ચારેકોરથી
પ્રલયકારી પ્રસરતા પવનોમહીં
અહર્નિશ કંડૂકશો ક્રીડા કરે.
નગ્નતાનો નાચ માંડ્યો માનવે.
નથી કોઈની શરમ, સંકોચ ના,
માનની અપમાનની કે વેદનાતણી ના જ્વાળા.
નથી કો જાણતું.
અને જાણે તોય શું ? છોને કહે
કહેવું જે હોય તે, તેમજ ગણે.
વસ્ત્રવાળી વ્યક્તિયે વસ્ત્રો તજી
ખભે મૂકી ચાલતી; હદ છે હવે !
સભ્યતામાં સુસંગત સઘળું હશે,
નગ્નતાનો નાચ માંડ્યો માનવે.
- શ્રી યોગેશ્વરજી