રચીને સૃષ્ટિને સૃજનપતિએ મંગલ કહી
મનુષ્યોને વાણી : સુખદશુભ સૃષ્ટિ સુમધુરી
તમારા આત્માને અપરિમિત આસ્વાદ ધરવા
રચી છે મેં રૂપે વિવિધ રસરંગે સભર શી,
અલંકારી એને અમરસમ આનંદ લભવા;
સમર્પી ને પ્રજ્ઞા પરમ તમને તો શુભ કરો
કરો સૌનું શ્રેય સુખ વધુ ભરો જીવન મહીં,
સુધારો ના તો હો મધુર કૃતિની વિકૃતિ નહીં.
મનુષ્યો પ્રજ્ઞાના પતિ નવ રહ્યા દાસ જ થયા,
વિસારી વાણીને સૃજનપતિની સત્વર ગયા,
મથ્યા આ સૃષ્ટિને સુખદ કરવા કિન્તુ ન રહ્યા
મનુષ્યો સૌ, કીધું પરમ રસસંવર્ધન નહીં,
અહંતાઅજ્ઞાને પશુ સમ લડ્યા ગૌરવ હણી,
સુધારે પાછી એ સરસ કૃતિ આ વિકૃતિ બની !