સુખને માટે જે માણસ પોતાની બહારના સંસારમાં વલખાં મારે છે, તે સમજતો નથી કે સુખનો અક્ષય સાગર તો પોતાની અંદર જ છે. પોતાની અંદર દૃષ્ટિ કરવાથી તે સાગરનું દર્શન થઈ શકશે તેની તેને જાણ નથી. કબીર કહે છે કે :
‘તેરા સાહિબ હૈં ઘટમાંહી,
બાહર નૈનાં ક્યોં ખોલે ?’’
એ પ્રમાણે બહારની આંખ બંધ કરીને અંદરની આંખ ઉઘાડે છે, ને પોતાના હૃદયમાં ડોકિયું કરે છે, તેને હૃદયમાં ને રોમેરોમમાં સાહેબ કે ઈશ્વરનું દર્શન થઈ જાય છે. ઈશ્વર જ પરમસુખ, શાંતિ ને આનંદનો સાગર છે. જે ઈશ્વરનું દર્શન કરી લે છે, તેને પરમસુખની પ્રાપ્તિ થઈ જાય છે એમાં શંકા નથી. એટલે સુખની ઈચ્છાવાળા પુરૂષે પોતાની અંદર રહેલા પરમેશ્વરનું દર્શન કરવા પ્રયાસ કરવો જોઈએ.
મને વારંવાર પૂછવામાં આવે છે કે જીવનમાં સુખ ને શાંતિ મેળવવાનો ઉપાય શો ? તેના ઉત્તરમાં એ જ કહું છું કે ભાઈ, સુખ ને શાંતિ બંને એક જ છે. તેને મેળવવાનો માર્ગ પણ એક જ છે; પરમેશ્વરની પ્રાપ્તિ. પરમેશ્વરનું દર્શન કરો, એટલે સુખ શાંતિની ચોક્કસ બાંહેધરી મળી જશે. પરમેશ્વરના દર્શનને માટે પ્રયાસ કરો એટલે સુખશાંતિનો લેખ તમારે માટે કાયમને માટે લખાઈ જશે. બીજો કોઈ ઉપાય નથી. આ એક જ ઉપાય છે, તેને અજમાવો તો સુખ છે નહિ તો દુઃખ જ દુઃખ છે. પરમેશ્વરનું દર્શન સહેલું બને તે માટે હૃદયની શુદ્ધિ સાધો.
પાંચમા અધ્યાયના અંત ભાગમાં ભગવાને આ મહત્વની વાત તરફ આપણું સૌનું ધ્યાન દોર્યું છે. આપણે તેને યાદ રાખીએ ને જીવનને સફળ કરીએ. પાંચમા અધ્યાયનું પારાયણ તો જ સાર્થક બને.
- શ્રી યોગેશ્વરજી