પણ તમારામાંથી કોઈ બોલી ઉઠશે કે બધા માણસો કાંઈ કોઈપણ જાતની લૌકિક ઈચ્છા વિના ભગવાનને ભજે ખરા કે ? વાત સાચી છે. ભગવાન પણ આપણને એ જ વાત કહે છે. તેમનું કહેવું છે કે કેવલ જ્ઞાની ભક્તો મને ભજે છે એમ ના માનતા. જુદી જુદી જાતના-આ લોક ને પરલોકની ઈચ્છાવાળા માણસો પણ મને ભજે છે. જુઓને, માણસો મંદિરમાં જાય છે. તેમાંના કોઈ કોઈ કહે છે કે પ્રભુ, અમે જીવીએ છીએ ત્યાં સુઘી સુખી રહીએ ને મૃત્યુ પછી સ્વર્ગ કે વૈકુંઠમાં જઈએ એવું કરજો. કોઈ કહે છે કે પ્રભુ, અમારો ધંધો સારા ચાલે એવો આશીર્વાદ આપજો. તો કોઈ સ્ત્રીપુરૂષ, સંતાનની પ્રાપ્તિ, મુકદ્દમામાં જીત, લોટરી કે સટ્ટામાં સફળતા, રોગની નિવૃત્તિ, નોકરી ધંધાની પ્રાપ્તિ ને એવી બીજી કેટલીક ઈચ્છાઓ રજૂ કરે છે, ને તે પુરી કરવાની પ્રાર્થના કરે છે. તેવી રીતે ભગવાનને ભજનારા ભક્તનું પણ સમજવાનું છે. જ્ઞાની ભક્તો સાત્વિક હોય છે, ખૂબ પવિત્ર હોય છે, ને અનન્ય અનુરાગથી ભરેલા હોય છે. તેમના દિલમાં ભગવાનનો ભાવદરિયો સદા ઉછાળા મારતો હોય છે. ભગવાનને મળવા માટે તે આતુર થયા હોય છે, તેમાંના કેટલાક આગળ વધેલા ભક્તો તો બધે ભગવાનનું દર્શન કરે છે ને ભગવાનની લીલાનો અનુભવ કરે છે. પણ અર્થાર્થો અથવા કામનાવાળા ભક્તોના સંબંધમાં એવું સમજવાનું નથી. તે ભક્તો તો કોઈ કામના રાખીને જ ભગવાનને ભજે છે ને કેટલીયવાર યજ્ઞો ને અનુષ્ઠાન કરે છે, ને કોઈવાર નાનાંમોટાં વ્રત ને તપ પણ કરે છે. જ્ઞાની ભક્તોની જેમ એક ભગવાનના દર્શનની ઈચ્છાથી તે ભક્તિ કરતા નથી. પણ ભગવાન સિવાય બીજી વસ્તુઓની કામના રાખે છે.
છતાં તેમનો તિરસ્કાર કરવાની જરૂર નથી. તેમની તરફ મોં મચકોડવાથી કે તેમને દીન, હીન ને અજ્ઞાની માનવાથી પણ કાંઈ નહિ વળે. તેમને સહાનુંભૂતિથી જોવાની જરૂર છે. જરા વિચાર તો કરો કે આ સંસારમાં એવા હજારો માણસો છે જે ઈશ્વરને માનતાં જ નથી. ઈશ્વરની જરૂર તેમને જરા પણ લાગતી નથી. બીજા હજારો માણસો એવાં છે જે ઈશ્વરને નિરંતર યાદ કરતાં નથી. ઈશ્વરની કૃપા મેળવવાની તેમને ઈચ્છા જ થતી નથી. તે બધા માણસો કરતાં જે ઈશ્વરને યાદ કરે છે, ઈશ્વરની કૃપાની કામના રાખે છે, ને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે, તેમનો દરજ્જો શું ઊંચો નથી ? શું તે વધારે આગળ નથી ? ભલે તે ઈશ્વરને કોઈ કામનાથી ભજતા હોય, પણ ભજે છે તો ખરાં ને ? કામના રાખીને પણ તે ઈશ્વરનું શરણ તો લે છે ને ? કોઈ રાક્ષસ કે શયતાનને તો તે ભજતા નથી ને ? કામના પૂરી કરવા માટે પણ ઈશ્વરનો આધાર લે છે ને એ રીતે ઈશ્વર તરફ વળે છે, તેમાં ખોટું શું ? એમ કરતાં કરતાં તેમના હૃદયમાં ઈશ્વરનો પવિત્ર પ્રેમ પ્રક્ટી ઊઠશે ને બધી જ લૌકિક તથા પરલૌકિક કામનાને છોડી દઈને એક ઈશ્વરના દર્શનને માટે જ તે ઈશ્વરને ભજવા માંડશે. માટે તેમને પણ સહાનુભૂતિથી જોતાં શીખો. તેમને પણ પ્રભુના પ્યારા ને કૃપાપાત્ર સમજો ને તેમની તરફ તિરસ્કાર રાખવાનું બંધ કરો.
સંસારનાં વધારે ભાગનાં માણસો દુઃખથી પીડાય છે. આધિવ્યાધિ ને ઉપાધિથી હેરાન થાય છે. તેમને ખાવા માટે અન્ન ને રહેવા માટે ઘર નથી. પહેરવા માટે પૂરતાં વસ્ત્રો ને પૂરતું ધન પણ તેમની પાસે નથી. બીજાં એવાં કેટલાંય માણસો છે જેમને એક યા બીજી જાતનાં દુઃખો છે. ક્લેશ, કષ્ટ ને ચિંતામાં તે સપડાયાં છે. બીજા કેટલાંક અત્યાચાર, અનાચાર ને અન્યાયનાં ભોગ બનેલાં છે. એવાં માણસો સંસારમાં દરેક દેશ ને કાળમાં વધારે કે ઓછા પ્રમાણમાં રહેવાનાં જ. તેવાં માણસો સુખી થવા ને કામના પૂરી કરવા ઈશ્વર તરફ મીટ માંડે તો તેમાં ખોટું શું છે ? માણસ જો સાચા દિલથી ઈશ્વરને ભજે, ને ઈશ્વરના પ્રેમથી તરબોળ બને, તો ઈશ્વર તેની બધી સંભાળ રાખે છે, ને તે ઈચ્છે કે ના ઈચ્છે, ને પ્રાર્થના કરે ના કરે, તો પણ તેનાં બધાં જ દુઃખ દૂર કરી, તેની બધી કામના પૂરી કરે છે. આ પ્રમાણે જે સમજે છે તે તો એક ઈશ્વરને જ ભજે છે, ને બધો ભાર ઈશ્વરને સોંપીને, ઈશ્વરની કૃપા જ કામના કરે છે,
એ વાત સાચી છે કે માણસ જ્યાં સુધી સાંસારિક રીતે સલામત ના હોય, ત્યાં સુધી ઈશ્વરને મન મૂકીને ભજી શકતો નથી. ભૂખ્યો માણસ ઈશ્વર કરતાં રોટલાને જ પહેલો ભજશે, ને ઈશ્વરને ભજશે તો પણ રોટલા માટે જ ભજશે. એ સમજી શકાય તેવું છે. તે પ્રમાણે નિર્ધન ધનની ને રોગી આરોગ્યની ઈચ્છાથી ઈશ્વરનું શરણ લેશે. અત્યાચારીના હાથમાં પડેલો માણસ અત્યાચારમાંથી છૂટવા માટે ને બીજી ઉપાધિવાળો માણસ ઉપાધિમાંથી મુક્ત થવા માટે ઈશ્વરને યાદ કરશે. એ વાત દીવા જેવી ચોખ્ખી છે. એ વાતનો સ્વીકાર કર્યા વિના છૂટકો જ નથી. તમને ગમે કે ના ગમે, ને ઈશ્વરની નિષ્કામ ભક્તિના ચોકઠામાં આ વાત બેસે કે ના બેસે, તો પણ તમારે સ્વીકાર કરવો જ જોઈએ.
સાધારણ માણસનો સ્વભાવ જ એવો રહેવાનો. લૌકિક કામનાને છોડી શકવાના જ નહિ. ને ના છોડે તો પણ શું ? તેવી રીતે પણ તે સંતમહાત્મા ને ઈશ્વરનું શરણ લેવા પ્રેરાય તેમાં કાંઈ જ ખોટું નથી. એમ માનીને તમારા દિલને ઉદાર રાખજો, ને તેમને પણ માનની નજરથી જોજો.
- શ્રી યોગેશ્વરજી