છલ્યા સોમલથી સમીરો કરે સુસવાટા ભલે,
ખબર છે તુજને કરાયે કેમ એના પર સફર,
આકરા અંગાર ચારેકોરથી ઝરતા ભલે,
હસ્તગત છે કળા જેથી થાય એ સર્વે વિફળ.
નથી ચિંતા ચપલ ચપલાઓ ભલે ચમક્યા કરે,
ભલે ધાર અનંત ઊંડી વેદના કેરી ઢળે,
ગડગડાટ થઈ રહેલા ઘોર અભ્રતણા ભલે,
ધૈર્ય, હિંમત ને તિતિક્ષા વરી છે તુજને ખરે.
કેટલીયે વાર આવી કસોટી આવી ગઈ,
દહી આમ રહ્યા તને કૈં વાર ઓચિંતા અનલ,
કિન્તુ શાંત થઈ ગયા, હાલ્યું નહીં તારું હૃદય,
સુધા સમજીને સમાવ્યું પ્રાણમાં તેં તો ગરલ.
દેશ મારા, છે મને શ્રદ્ધા અને પાકી ખબર,
જીવશે તું, થશે દ્વેષીની જ આખર તો કબર !
- શ્રી યોગેશ્વરજી