ઋષિકેશ,
તા. ૨૧ ફેબ્રુ. ૧૯૪૫
પ્રિય આત્મન્ (બાબુભાઈ)
તારો પ્રેમભર્યો પત્ર પણ મળ્યો. વાંચી આનંદ થયો જે થોડાક વિશિષ્ટ આત્માઓ આ શરીર પર પ્રેમ રાખે છે તેમાં તું પણ છે. બહુ જ થોડા વખતમાં તારો સંબંધ ખૂબ ખૂબ દૃઢ બન્યો છે. એ તારી યોગ્યતા જ બતાવે છે.
તારામાં વ્યાકુળતા વિશેષ લાગે છે. પણ એકલી વ્યાકુળતાથી ચાલશે નહીં. ધીરજ પણ જોઈએ. માણસે સાક્ષાત્કાર કે દર્શનને માટે બહુ ઉતાવળા ના થવું. પ્રેમનો પરમ આસ્વાદ એ જ જીવનની ધન્યતા છે. તે પ્રેમની વિશેષ ને વિશેષ અનુભૂતિમાં જ સંતોષ હોવો જોઈએ. પ્રેમ પ્રાપ્ત થાય તો બીજા કયા ઈશ્વરની ઈચ્છા રહે ? પ્રેમ જ પરમ ઈશ્વર છે. કદાચ કોઈની કૃપાથી દર્શન આદિ થઈ ગયું તો પણ પ્રેમ નહિ હોય તો તેવા જીવનમાં આનંદ શો ? પ્રેમ પ્રકટાવો, ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકતો જ નથી. કમલ ખીલે એટલે ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ. તેવું જ ઈશ્વરનું છે. એટલે મૂળ વાત એ છે કે પ્રેમ પ્રકટાવવો, પ્રેમમય થવું. પ્રેમમાં જ મસ્ત રહેવું. આ પ્રેમ હૃદયમાં પ્રકટાવવો, તે મય થવું, ને તેને જગતના પ્રત્યેક સ્વરૂપમાં જોતાં શીખવું અને એ રીતે એકત્વનો અનુભવ કરવો એ જ સાક્ષાત્કાર છે. આ પ્રેમ પ્રકટે તો તમે ગમે તે રીતે તેનું દર્શન કરી શકો છો ને ન કરો તો પણ માત્ર આ પરમાનુભવથી જ શાંત ને કૃતકૃત્ય બની શકો છો.
આ પ્રેમ સંતમહાત્માઓના જીવનના પરિશીલનથી તેમ જ ઈશ્વર પ્રણિધાનથી હૃદયશુદ્ધિ થતાં પ્રકટે છે.
સાધકે હમેશાં ધીરજ રાખવી જોઈએ. અક્રોધ એ ખૂબ ઉંચો ગુણ છે. પણ સંસારમાં તેટલાથી ના ચાલે તો ફુંફાડો રાખવાની જરૂર છે. તેથી કાંઈ બગડી જતું નથી. જો કે ફુંફાડો પણ ના રાખવો પડે એ વધારે સારી સ્થિતિ છે.