ઋષિકેશ
તા. ૮ સપ્ટે, ૧૯૫૬
પ્રિય નારાયણભાઈ,
તમારો પત્ર મળી ગયો છે. તમારો પ્રેમ જોઈને આનંદ થયો છે. મહાગુજરાતનો કેસ હાલપૂરતો માર્યો ગયો છે એ બરાબર છે. ગુજરાતના પ્રતિનિધિઓ ખૂબ કાચા નીકળ્યા. તેમના અચોક્કસ ને શિસ્ત તથા રાષ્ટ્રીય હિતને નામે બિનજવાબદાર વલણ ને લીધે હાલપૂરતું તો ગુજરાતને નિરાશ થવું પડ્યું છે. જનતાનો અવાજ સરકારે વારંવાર બાંહેધરી આપ્યા છતાં ને જાહેર કર્યા છતાં પણ સાંભળ્યો નથી. હવે તો આગળ પર જે થાય તે ખરું. તેમના વલણે આખાય પ્રશ્નમાં બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. એ એક જ પુરુષે દિલ્હીમાં દ્વીભાષી રાજ્ય રચનાનાં નિર્ણયને સંમતિ આપતાં પહેલાં અમદાવાદ આવીને ગુજરાતના નેતાઓનો વિચાર જાણવાનો પ્રયાસ કર્યો હોત ને તે પછી તેમનો સંયુક્ત અવાજ તેમણે કેન્દ્રમાં રજૂ કર્યો હોત તો મહાગુજરાત જરૂર થાત. પણ તે દિલ્હીમાં બધુ નક્કી કર્યા પછી બહુ મોડે મોડે પોતાની વાત જનતાને સમજાવવા અથવા તો સ્વીકારવાનો આગ્રહ કરવા માટે આવ્યા. પરિણામે પક્ષીય શિસ્તને નામે કાર્યકર્તાઓનો ને ગુંડાગીરી ને તોફાની તત્વોને નામે જનતાનો સાચો અવાજ કોઈ સાંભળી શક્યું નહીં. આવા મોટા અસરકારક પ્રશ્ન પરત્વે પાર્લામેન્ટે એકાએક જે નવું વલણ લઈને બધું ઘડીના છઠ્ઠા ભાગમાં મત એકઠા કરીને નક્કી કર્યું તે તદ્દન બિનલોકશાહી ઢબનું કહી શકાય. ટૂંકમાં કહીએ તો રાજ્ય પુર્નરચનાની બાબતમાં ગુજરાતને કોઈ જ લાભ થતો નથી. પણ અલગ રીતે વિકસવાની તક ના મળવાથી ગેરલાભ જરૂર થાય છે. ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર જેવી વાત થઈ છે. પહેલેથી આવી જ નીતિ હોત તો મુંબઈ ને બીજે જાનમાલનું આટલું નુકશાન ના થાત. પણ આ મહત્વના પ્રશ્નમાં ખરું જોતા સરકારની કોઈ નીતિ જ નથી રહી. પવન વાય તેમ વહ્યે જવું એ જ નીતિ છે.