सम्भूतिं च विनाशं च यस्तद्वेदोभयँ सह ।
विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्याऽमृतमश्नुते ॥१४॥
sambhutim cha vinasam cha yastadvedobhaya saha ।
vinasena mrtyum tirtva sambhutya'mrtamasnute ॥ 14॥
નાશવાન આ યોનિ સર્વ ને ઈશ્વરને જે જાણી લે,
મૃત્યુ તરે તે નાશવાનથી, ઈશ્વર પૂજી અમર બને. ॥૧૪॥
અર્થઃ
યઃ - જે માનવ
તત્ ઉભયમ્ - એ બંનેને (અર્થાત્)
સંભૂતિમ્ - સંભુતિને
રા - અને
વિનાશં - વિનાશને
ચ - પણ
સહ - સાથે સાથે
વેદ - ખરાબ જાણી લે છે (તે)
વિનાશેન - વિનાશની મદદથી
મૃત્યુમ્ - મૃત્યુને
તીર્ત્વા - પાર કરીને
અસંભૂત્યા - અસંભૂતિની મદદથી
અમૃતસ્ - અમૃતને
અશ્નુતે - ભોગવે છે એટલે કે અમૃતમય પરમાત્માને પામી લે છે.
ભાવાર્થઃ
વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનમાં પ્રકૃતિ અને પરમપુરુષની, કાર્યબ્રહ્મની અને પરબ્રહ્મ પરમાત્માની, ઉભયની ઉપાસનાની આવશ્યકતા છે. પ્રકૃતિ પરિવર્તનશીલ અથવા વિનાશી છે તોપણ અસાધારણ શક્તિ અથવા સાધનસંપત્તિથી સંપન્ન એનાં તત્વો અથવા પંચમહાભૂતોનો સુવિચારપૂર્વક સમ્યક સદુપયોગ કરવામાં આવે તો વ્યાઘિ, દૈન્ય, દુઃખ, બંધન અને પરાધીનતામાંથી મુક્તિ મળે. માનવ અલ્પતા અને અજ્ઞતાનો દાસ બનીને જીવતાં જ જે મૃતાવસ્થાને અનુભવે છે એ મૃતાવસ્થા અથવા જીવંત મૃત્યુમાંથી છૂટીને જીવનને ઉજ્જવળ અને ઉત્સવમય કરે છે.
પરંતુ અંદરની અને બહારની પ્રકૃતિ પર શાસન કરતાં શીખવું એ જ જીવનનું ધ્યેય છે એવું નથી સમજવાનું. જીવનની પૂર્ણતા અને કૃતકૃત્યતાને માટે પરમપુરુષ પરમાત્માને ઓળખવાનું પણ અનિવાર્યરૂપે આવશ્યક છે. પરમાત્માનો સાક્ષાત્કાર, માનવજીવનના પરમધ્યેયની પ્રાપ્તિ જ જીવનને અમૃત બનાવી શકે તેમ છે. એ સંદેશની વાસ્તવિકતાની પ્રતિતી આધુનિક સમયમાં સારી રીતે થઇ રહે છે. સામાજિક સુધારણાના ક્ષેત્રમાં આજનો માનવ ઉત્તરોત્તર આગળ વધે છે અને અવનવા વૈજ્ઞાનિક આવિષ્કારો કરે છે. એ આવિષ્કારો દ્વારા ભૌતિક સુખોપભોગનાં સાધનોની અભિવૃદ્ધિના સફળ પ્રયોસો આદરે છે તોપણ એનો અંતરાત્મા પ્રશાંત નથી પરંતુ અશાંત છે અનું કારણ પરમાત્મપરતાનો અભાવ છે. જીવનને સાચા અર્થમાં સુખી, શાંત અને સંવાદી બનાવવા માટે પરમાત્માની સાથે સંબધ બાંધવાનું આવશ્યક છે.
ઉપનિષદમાં એની સંસ્કૃતિનો શાશ્વત સંદેશ સમાયેલો છે, અને આપણને એવી આદર્શ સર્વોપયોગી સંસ્કૃતિની આવશ્યકતા છે, જેમાં સાંસારિક સુધારણા હોય, વૈજ્ઞાનિક વિકાસનો સમાવેશ હોય, પ્રકૃતિના પ્રભુત્વને માટે સ્થાન હોય, અને સૌના મૂળાધાર પરમપુરુષ પરમાત્માનો પરિચય તથા પ્રેમ હોય. એ ઉપનિષદકાલીન સમન્વયાત્મક સંસ્કૃતિ આજે પણ ઉપયોગી અને આશીર્વાદરૂપ છે.
મારા નમ્ર મંતવ્ય મુજબ આ શ્લોક થોડોક વિશેષ વિચાર માંગી લે છે. પરંપરાગત પદ્ધતિ પ્રમાણે આ શ્લોકમાં અસંભૂતિ શબ્દનો પ્રયોગ જ નથી થયો પરંતુ તેને બદલે વિનાશ શબ્દ વપરાયો છે. વિનાશશીલ વસ્તુથી મૃત્યુની પાર પહોંચી શકાય પરંતુ સંભૂતિથી અમૃતપદની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે ? એટલે એ આખોય શ્લોક આવી રીતે વાંચવો જોઇએ.
असम्भूतिं च विनाशं च यस्तद्वेदोभयँ सह ।
विनाशेन मृत्युं तीर्त्वा असम्भूत्याऽमृतमश्नुते ॥
तीर्त्वा असम्भूत्या નું तीर्सम्भूत्या થઇ શકે.
કાર્યબ્રહ્મ પરમાત્માનું વિશાળ શરીર છે તેમ આત્માનું શરીર સીમિત છે તેને પણ સંભૂતિ કહી શકાય. શરીર વિનાશશીલ હોવાં છતાં મૃત્યુંજય થવામાં ને બંધનમુક્ત બનવામાં મદદરૂપ થઇ શકે છે. આત્માને આલોકિત કરવામાં આવે તો એ દ્વારા, એટલે કે આત્મારૂપી અસંભૂતિ દ્વારા, પરમાત્માની અનુભૂતિ કરીને અમૃતમય બની શકાય છે. એ અર્થમાં સંભૂતિ એટલે જડ તત્વ, પંચમહાભૂત, એમના સંઘાતસમાન શરીર અને અસંભૂતિ એટલે એનાથી અલગ, પરમ પ્રેરક. એ સૌને સજીવ અને આલોકિત કરનાર અલૌકિક આત્મતત્વ, પરમ ચૈતન્ય.