ઈ.સ. ૧૯૬૩ની મારી મદ્રાસયાત્રાનો એ સુમધુર પ્રસંગ આજે પણ મારા સ્મૃતિપટ પરથી નથી ભૂંસાયો. એ એવો ને એવો જ યાદ છે અને અવારનવાર યાદ આવતો રહે છે. જ્યારે જ્યારે એ યાદ આવે છે ત્યારે ત્યારે અંતરમાં એક પ્રકારનો અવર્ણનીય વિલક્ષણ ભાવ ઉત્પન્ન થાય છે.
મૂળ ગુજરાતના, અને એમાં પણ સૌરાષ્ટ્રના, પરંતુ લાંબા વખતથી મદ્રાસમાં વસેલા કે સ્થાયી થઈ ગયેલા એ વકીલ મહાશયની શાંત અને જ્ઞાનગંભીર મૂર્તિ મારી આંખ આગળ હાજર થાય છે. મદ્રાસમાં એ મારા પ્રવચનોમાં આવતા. અને પછી તો એકવાર અત્યંત આગ્રહ કરીને એ મને પોતાને ત્યાં પણ લઈ ગયેલા.
તે પોતે એક મહાન દેવીભક્ત ને વેદાંતી હતા. તેમનામાં પ્રવચનનો કરવાની કુદરતી શક્તિ પણ હતી. એ શક્તિથી પ્રભાવિત થઈને એમની આજુબાજુ અસંખ્ય લોકો એકઠાં થતાં. અંગ્રેજીમાં પ્રવચન કરવા ઉપરાંત સંસ્કૃતમાં પણ એ એકધારું બોલી શકતા. લોકો એથી મંત્રમુગ્ધ બનતા.
એવી બધી વિશેષ યોગ્યતા હોવા છતાં પણ એ અત્યંત વિનમ્ર હતા.
મારાં પ્રવચનોની પૂર્ણાહૂતિ થઈ ત્યારે એ વકીલ મહાશયને આભારવિધિ કરવાનું કહેવામાં આવ્યું.
એમણે ઉપસંહાર કરતાં કહેવા માંડ્યું, ‘આજે મને આભારવિધિ કરવાનું કહેવામાં આવ્યું, અને એ પ્રમાણે હું આભારવિધિ કરી રહ્યો છું. એને મારું સૌભાગ્ય સમજું છું. તમને બધાને થશે કે હું પણ પ્રવચનો કરું છું ને, મારે પણ કેટલાય પ્રશંસકો તથા પ્રેમીઓ છે. તો પણ હું આટલા બધા પ્રેમ અને આદરભાવથી આભાર માનવા માટે કેમ તૈયાર થયો ? પરંતુ વસ્તુસ્થિતિ એ છે કે મારી દશા એક ગધેડા જેવી છે. ગધેડાની પીઠ પર સુખડનો ગમે તેટલો ભાર લાદવામાં આવે તો પણ ગધેડાને તેની વાસ ના મળે, તેવી રીતે મારામાં જે જ્ઞાન છે એનો આસ્વાદ મને નથી મળી શક્યો. એને લીધે મને પરમશાંતિની પ્રાપ્તિ પણ નથી થઈ. વાસના ને વિકારથી મારું મન ઘેરાયેલું છે.’
શ્રોતાજનો એમની સાદી, સરળ, નિખાલસ, છતાં સારગર્ભિત વાણી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.
સૌને થયું કે વકીલ મહાશય આ શું બોલી રહ્યા છે ! કેટલાક લોકો તો ગણગણાટ કરવા માંડ્યા.
ભરસભામાં આવી રીતે બોલવું, અને એ પણ પોતાને માટે એ કંઈ જેવી તેવી વાત ન હતી.
આભારવિધિ પૂરી થઈ ને બધાં બહાર નીક્ળ્યાં એટલે મેં કહ્યું : 'વકીલ મહાશય, તમે આજે ઘણું જ વિચિત્ર ને યાદગાર ભાષણ કરી બતાવ્યું.’
'એમાં વિચિત્ર જેવું કશું જ નથી. મને જે યોગ્ય લાગ્યું ને જે સાચું હતું તે જ મેં કહી બતાવ્યું. આજે હું સત્સંગમાં આવ્યો તે પહેલાં શું કરીને આવ્યો છું, તે ખબર છે ? એક માણસે ખૂન કર્યું છે. તેના પર કેસ થયો છે. હું જાણું છું કે તે ખૂની છે. છતાં પણ તેની સ્ત્રીની વિનંતીથી હું તેને માટે વકીલાત કરવા તૈયાર થયો છું. તેને બચાવવા માટેની ખોટી દલીલોનો વિચાર કરીને જ થોડા વખત પહેલાં હું બહાર નીક્ળ્યો છું. હવે તમે જ કહો કે હું ગધેડા જેવો છું કે નહિ ? જે જ્ઞાન ફક્ત મગજમાં જ રહે છે અને જીવનમાં નથી ઉતરતું અથવા તે જીવનમાં ઉતારવાનું જોમ પણ પૂરું નથી પાડતું તે જ્ઞાન પ્રાપ્ત કર્યું તો પણ શું ને પ્રાપ્ત ન કર્યું તો પણ શું ? એ જ્ઞાનથી જીવનનું પરિત્રાણ કેવી રીતે થઈ શકે?’
'પરંતુ આટલા બધા વિશાળ જનસમુદાયમાં તમારે માટે તમે એવા આલોચનાત્મક શબ્દો વાપર્યા તે શું બરાબર હતું ?’
'બરાબર જ હતું. બીજાના સાંભળતાં એવા શબ્દો બોલી બતાવું તો બીજા પણ મારી યોગ્યતાને સમજી શકે ને ? નહિ તો બીજાને શી ખબર પડે ? બીજા તો મને મોટો જ્ઞાની તથા તત્વવેતા જ માને ને ?’
એમની નમ્રતા ને નિખાલસતા જોઈને મને એમની પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થયો. માણસ પોતાને સાચી રીતે સમજતો હોય ને પોતાની ત્રુટિને ઓળખતો હોય તો કોઈક વાર પણ એને માટે સુધરવાનો કે આગળ વધવાનો અવકાશ રહે છે. એવો માણસ આજે અથવા કાલે પણ જાગીને પોતાની ત્રુટિને દૂર કરીને, પોતાનો વિકાસ સાધી શકે છે. આત્મજાગૃતિ અને આત્મનિરીક્ષણ જીવનવિકાસની બહુ મોટી શરત છે. વકીલ મહાશયના જીવનમાં એ શરતનું પાલન થયેલું જોઈને મને આનંદ થયો ને લાગ્યું કે માનવતા હજી મરી નથી ગઈ. ઉત્તમ કોટિના સમજુ ને સંસ્કારી માણસો જગતમાં ભલે થોડી સંખ્યામાં પણ જીવે છે ખરા.
- શ્રી યોગેશ્વરજી

