પરીક્ષિત રાજાને શ્રીમદ્ ભાગવત કથામૃતનું પાન કરાવનાર જ્ઞાની-શિરોમણી શુકદેવ કોઈ સામાન્ય વિદ્વાન પંડિત, તપસ્વી, ભક્ત, કે સંત ન હતા. એ તો એક કૃતકૃત્યતાના પરમ શિખર પર પહોંચી ચૂકેલા, પ્રશાંતિપ્રાપ્ત, ઈશ્વરદર્શી મહાપુરૂષ હતા. એમને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો હતો, અને એમની દૃષ્ટિ પરમાત્મામયી બની ચૂકી હતી. તત્વજ્ઞાન કે યોગ ને ભક્તિ એમને માટે કોઈ બૌદ્ધિક વસ્તુ ન હતી, પરંતુ જીવનમાં ઊતરી ચૂકેલી અથવા તો અનુવાદ પામેલી સામગ્રી હતી. એ સ્વયં મૃત્યુંજ્ય હોવાથી કોઈને પણ મૃત્યુના ભયમાંથી મુક્ત કરી શકે તેમ હતા. એટલા માટે જ, ગંગાના તટપ્રદેશ પર આટ-આટલા જ્ઞાની, ભક્ત, ને તપસ્વી પુરૂષો ભેગા થયા હતા તે છતાં, પરીક્ષિતનું મૃત્યુના ભયમાંથી પરિત્રાણ કરવા માટે સોળ વરસના શુકદેવની જ પસંદગી થઈ. આટલી નાની ઉંમરના તત્વદર્શી પુરૂષો ભારતવર્ષ સિવાયના બીજા કોઈ દેશે ભાગ્યે જ પેદા કર્યા છે. બીજા દેશોએ સમાજ સુધારકો, રાજનીતિજ્ઞો, અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, પેદા કર્યા છે. પરંતુ સંસારના રહસ્યને આત્મસાત કરવા માટે આકાશપાતાળ એક કરનારા અને પરમાત્માને પ્રત્યક્ષ કરવા માટે પુરૂષાર્થ કરનારા પુરૂષસિંહો તો ભારતમાં જ જન્મ્યા છે. એ એની વિશેષતા છે.
શુકદેવ એવા જ પુરૂષસિંહ હતા. એમની યોગ્યતા શરૂઆતથી જ ઊંચી હતી. એ વિશે એક પ્રસંગ જાણવા જેવો છે.
કહે છે કે શુકદેવના પિતા મહર્ષિ વ્યાસે શુકદેવને રાજા જનકની પાસે જ્ઞાન લેવા માટે મોકલ્યા. રાજા જનક તે વખતે રાજા હોવા છતાં, પણ જ્ઞાનીઓને માટે પૂજ્ય અથવા તો આદરપાત્ર મનાતા. મોટામોટા સંતપુરૂષો પણ એમને સન્માનના અધિકારી સમજતા. એમનું શરીર સંસારમાં રહેતું પરંતુ મન પરમાત્મામાં વાસ કરતું. એટલા માટે તો એ વિદેહી કહેવાતા. જનકવિદેહી તરીકે એમની પ્રસિદ્ધિ હતી.
શુકદેવજી જનક રાજાના મહેલ પાસે આવી પહોંચ્યા. પરંતુ એમનું કોઈએ સન્માન ન કર્યું. દ્વારપાળોએ એમને અંદર જવા ના દીધા ને અટકાવ્યા. જનક રાજા કે બીજું કોઈપણ એમનો સત્કાર કરવા માટે ન આવ્યું. છતાં પણ શુકદેવજી રાજદ્વાર પાસે શાંતિપૂર્વક ઊભા રહ્યા. બીજો કોઈ સાધારણ સંત કે વિદ્વાન પુરૂષ હોત તો રાજા જનક પર રોષે ભરાત અથવા તો એમના દ્વારપાળને શાપ આપવા માટે તૈયાર થાત. પરંતુ શુકદેવ તો પરમાત્મદર્શી પુરૂષ હતા. એમણે કોઈપણ પ્રકારનો વિરોધ ન નોંધાવ્યો કે બડબડાટ પણ ના કર્યો.
એવી અવસ્થામાં પૂરા ત્રણ દિવસ વીતી ગયા ત્યારે જનક રાજાના પરિચારકો એમને અંદર લઈ ગયા. અંદર લઈ જઈને એમને એક ખંડમાં બેસાડ્યા પછી પરિચારકો ચાલ્યા ગયા. એ જ વખતે, બધું પૂર્વયોજિત હોય તેમ, કેટલીક રૂપરૂપના અંબાર જેવી કન્યાઓએ ખંડમાં પ્રવેશ કર્યો. શુકદેવ તો એમને જોઈને શાંત જ રહ્યા. પરંતુ કન્યાઓમાંની કેટલીક એમને શરીરે સુવાસિત દ્રવ્યોનું મર્દન કરવા લાગી, તો કેટલીક એમને સ્નાન કરાવવા, વસ્ત્રો પહેરાવવા, ને પંખા નાખવા લાગી. બધી જ કન્યાઓ એમના ચિત્તને હરવાના ઉદ્દેશથી જુદી જુદી જાતના અભિનય કરવા માંડી. પરંતુ શુકદેવ તો એવા જ નિર્વિકાર અને શાંત રહ્યા. ભલભલાની કસોટી કરે એવું મોહક વાતાવરણ હતું. પરંતુ જો મોહ પામે તો એ શુકદેવ શેના ? એમને એ લેશમાત્ર પણ ચલાયમાન ન કરી શક્યું.
પછી તો એમને ભોજન કરાવીને કન્યાઓ ચાલી ગઈ.
ત્યારે રાજા જનક આવી પહોંચ્યા.
શિષ્ટાચારની વિધિ પતાવીને જનકે શુકદેવને એમના આગમનનું કારણ પૂછ્યું, તો શુકદેવે કહ્યું કે, મારા પિતાજીના કહેવાથી હું જ્ઞાન લેવા આવ્યો છું.
'જ્ઞાન લેવા ?’ જનકે સસ્મિત કહેવા માંડ્યું. 'જ્ઞાન તો તમને પ્રાપ્ત છે જ. એટલું જ નહીં પરંતુ બ્રહ્મજ્ઞાનમાં તમારી સ્થિતિ છે, એટલે તો ત્રણ દિવસ સુધી રાજમહેલના દ્વાર પાસે આદરહીન દશામાં ઊભા રહ્યા તો પણ તમને ક્રોધ ના થયો અને કામવાસનાને પ્રજ્વલિત કરનારી કુમારિકાઓના પ્રયાસો પણ તમારા મનને મોહિત ના કરી શક્યા. તમે પરમજ્ઞાનની મૂર્તિરૂપ છો. જ્ઞાનની આવશ્યકતા તમારે હવે નથી રહી. તમારી કસોટી કરવા માટે જ એ બધા પ્રસંગો મેં ઊભા કર્યા હતા. તમે એ કસોટીમાંથી પાર ઊતર્યા છો. આથી વિશેષ જ્ઞાન મારી પાસે બીજું કશું જ નથી.’
એ પછી શુકદેવ ત્યાંથી પાછા વળ્યા.
બ્રહ્મજ્ઞાની પુરૂષનું મન હવા વિનાના સ્થાનમાં રાખેલા દીપક જેવું અચળ હોય છે. સંયમ એને માટે સહજ હોય છે. કોઈ કાળે એ ચલાયમાન નથી થતું. શુકદેવના પ્રસંગમાંથી એ પદાર્થપાઠ મળે છે. એ પાઠને લઈને બેસી રહેવાને બદલે, એને જીવનમાં ઉતારીએ તો જીવન ધન્ય બની જાય, એમાં સંશય નથી. ઈશ્વર સૌને એ માટેની સમજ આપો ને શક્તિ પૂરી પાડો !
- શ્રી યોગેશ્વરજી