Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એ વખતે ગાંધીજી સેવાગ્રામમાં રહેતા હતા.

એક અંગ્રેજ પત્રકારે એમની મુલાકાત માગેલી.

ગાંધીજીએ એને પાંચ મિનિટનો સમય આપેલો.

નક્કી કર્યા પ્રમાણે પત્રકારે ગાંધીજીની સેવાગ્રામની એ સાદી, સ્વચ્છ તથા સુંદર કુટિરમાં પ્રવેશ કર્યો.

પત્રકારે પ્રશ્ન પૂછ્યો, તમે માનો છો કે ભારતને સ્વતંત્રતાની પ્રાપ્તિ થઈ શકશે ?

'અવશ્ય,’ ગાંધીજીએ ઉત્તર આપ્યો : 'હું એવું અવશ્ય માનું છું. મને  એમાં શંકા નથી.’

'તમારી માન્યતાનું કારણ ?’ પત્રકારે ફરી પૂછ્યું.

'કારણ ?’ ગાંધીજી કહેવા માંડ્યા, 'કારણ કે મને ઈશ્વરમાં શ્રદ્ધા છે. એ જો ન્યાયી ને દયાળુ હોય તો અમારી ઈચ્છા એણે પૂરી કરવી જ જોઈએ. અમારી માગણી ન્યાયી છે.’

પત્રકારે સંપૂર્ણ સંતોષ સાથે પ્રભાવિત થઈને કહ્યું : 'મારા દેશના અખબારમાં તમારા આ શબ્દો હું મોટા અક્ષરે છપાવીશ. અને લોકોને કહીશ કે સાચા ધાર્મિક તો તમે જ છો, અમે નથી.’

ગાંધીજી નિરુત્તર રહ્યા.

એટલામાં પાંચ મિનિટ પૂરી થઈ.

*

ભારતને આઝાદી મળી એટલે સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીને સંદેશો મોકલવામાં આવ્યો કે તમારી પ્રતિજ્ઞા હવે પૂરી થઈ ગઈ છે માટે આશ્રમમાં પાછા આવો.

એ વખતે નોઆખલીમાં ફાટી નીકળેલી અશાંતિને લક્ષ્ય કરીને એ મહાન માનવતાપ્રેમીએ સંદેશાનો ઉત્તર આપ્યો કે સાબરમતી મારે મન દૂર છે, નોઆખલી નજીક છે.’

એમના વિના આવો ઉત્તર બીજું કોણ આપી શકે ?

અને દુઃખી મનુષ્યોના પોકાર સાંભળીને એમને મદદરૂપ થવા માટે એ નોઆખલી તરફ વિદાય થયા.

નિઃસ્વાર્થ સેવાની કેટલી બધી ઉદાત્ત ભાવના !

- શ્રી યોગેશ્વરજી