નિશાળે જતાં બે બાળકો વચ્ચે વિશ્વની શાંતિ વિશે વાતો ચાલી ને તેમાંથી હરિફાઈ જામી. પહેલો બાળક કહે: ‘મોટો થઈને હું વિશ્વની શાંતિ માટે મોટાં કામ કરીશ.’ ને બીજો કહે: ‘મારાથી મોટા કામ નહીં થાય તોયે જેવાં થશે તેવાં નાનાં કામ પણ હું શાંતિ માટે જ કરીશ.’
બાળકો ઘેર આવ્યાં ત્યારે પણ એ જ વાત કરવા માંડ્યા. એવામાં એક બાળકને તરસ લાગી ને તે પાણી પીવા ઊભો થયો. ઘરના ખૂણામાં પડેલા કૂંજામાંથી પાણી કાઢતી વખતે તેણે કૂંજા નીચે નજર કરી તો એક કીડો કૂંજાની નીચેની ઠંડીમાં આશ્રય લેવા આવતો હતો. બાળકે તેને દૂર કર્યો, ને પછી પાણી પીને પાછો ફર્યો.
થોડી વારે બીજો બાળક પણ પાણી પીવા ઊભો થયો, ને તેણે પણ એ કીડાને કૂંજા તરફ આવતો જોયો. કૂંજામાંથી પાણી લઈને તેણે તેના માર્ગમાં પાણી છાંટી દીધું, ને કીડો તેમાં શાંતિપૂર્વક પડી રહ્યો. એ જોઈ રહ્યો.
ઘરમાં પાસે જ બેસીને આ બધું જોઈ રહેલા ફિલસુફ પિતાએ બાળકોની માતાને કહ્યું: ‘કાલે ગમે તે થાય, આજે તો આ બીજો બાળક જ શાંતિને માટે વધારેમાં વધારે પ્રયાસ કરનારો છે, એ ચોક્કસ છે.’
- શ્રી યોગેશ્વરજી