સંસારમાં શાંતિ, સંપ, સમજુતી ને સહકારની ભાવના ફરી વળે, ને અશાંતિ ને ભેદભાવનો અંત આવે. હે પ્રભુ, શોષણ, સત્તાખોરી, ને સીતમનો અંત આવે!
પૃથ્વીમાં પ્રેમ, પવિત્રતા, ને પ્રજ્ઞાનો પ્રચાર થાય, ને વેર ને ભયનો અંત આવે. હે પ્રભુ, ધિક્કાર ને અહંકારનો અંત આવે!
યુદ્ધની શક્યતા સદાને માટે દૂર થાય, કંગાલિયતનું દફન થાય, ને પરાધીનતાનો અંત આવે. હે પ્રભુ, પદદલિત પ્રજાનાં દુઃખોનો અંત આવે!
સત્યની સાધના ને આત્માની આરાધનામાં લોકો લાગી જાય, ને વિચાર, વાણી ને વર્તનમાં એક થાય!
એવો અવસર આ અવનીમાં વહેલામાં વહેલો આવે, હે પ્રભુ, પૃથ્વીમાં એ પાવન પ્રભાત વહેલામાં વહેલું પ્રગટે!
જગતના શાંતિમંદિરની નવરચનામાં મારું જીવન પણ પોતાનો નમ્ર ફાળો ધરે, મારી મારફત પણ તમારી શક્તિ કામ કરે. હે પ્રભુ, મારી મારફત તમારી શક્તિ કામ કરે!
- શ્રી યોગેશ્વરજી