અહંકારથી ઉન્મત્ત થયેલી આંખ લઈને પ્રભુન જોવાનો તું પ્રયાસ કરે છે; પણ તારો પ્રયાસ વ્યર્થ છે. પ્રભુને જોવાની ઈચ્છા હોય તો આંખને નિર્મળ કર. તેમાંથી અહંકાર દૂર કર: ને પ્રેમના અંજનથી તેને આંજી દે.
છળ, કપટ ને વિકારોથી ભરેલું દિલ લઈને પ્રભુને મળવાનો તું મનોરથ કરે છે; પણ તારો મનોરથ મિથ્યા છે. પ્રભુને મળવાની ઝંખના હોય તો હૃદયને નિર્મળ કર, ને છળ, કપટ ને વિકારને બદલે તેમાં સત્યતા, સરળતા ને સ્થિરતાની સ્થાપના કર.
એમ કરીને તારા શરીરના મંદિરમાં પ્રભુનું દર્શન કર: તારી અંદર ને બહાર તેનું દર્શન કર!
- શ્રી યોગેશ્વરજી