તમારી સાથે સંબંધ સાધી ચૂકેલા તમારી જ આકૃતિ જેવા હજારો જ્યોતિર્ધરો આ સંસારમાં થઈ ગયા છે: હજારો પયગંબરો આ પૃથ્વીમાં પ્રકાશ પાથરી ગયા છે, ને અનેક રાહબરો રાહ બતાવી રહ્યા છે. તેમનું સ્મરણ કરીને મારું હૃદય ભાવથી ભરાઈ જાય છે.
એમનો વિચાર કરીને મારું હૃદય રણકી ઊઠે છે : હજારો જ્યોતિર્ધરોની જેમ હું પણ જ્યોતિ ધરી શકું, પ્રકાશનું મોટું નહિ તો નાનું પણ કિરણ રેલીને કોકના જીવનને અજવાળી શકું! સંસારને શાંતિ દઈ શકું, પ્રેમથી પરિપ્લાવિત કરી શકું, ને અમરતાનો માર્ગ બતાવી શકું! હજારો રાહબરોની જેમ હું પણ કોકના જીવનને શાંતિમય કરું ને રાહ ચીંધી શકું!
- શ્રી યોગેશ્વરજી