તમારી હોય કૃપા જો તો
વાણી વહેતી થાય;
વહી રહેલી વાણી મંગલ
ગીત તમારાં ગાય ... તમારી
મૂરખથી પણ મહાન કવિ તું,
આસન શોભિત થાય;
યશભાગી સામાન્ય જન બને,
થતાં તમારી સહાય ... તમારી
પામર પ્રાણી પંડિત બનતાં
જ્ઞાનામૃત પી પાય;
પર્ણહીન પણ શીતળ એવી
બને સર્વની છાંય ... તમારી
સ્નેહી શરણાગત તો પામે
મિલ્કત જે જે ચ્હાય;
'પાગલ' પ્રાણ ધર્યો છે જેણે
દિવ્ય તમારે પાય ... તમારી
તેથી માંગું તનમન મારું
ભલે કૃપામાં નહાય;
રંકતણુ ધન સર્વસ્વ ને,
દળદર છોને જાય ! ... તમારી
વાણીરૂપે પ્રકટ બનો ને
અંતર મારું ગાય;
વિશ્વમહીં વ્યાપક હો સ્વર એ
હરખ ન મારો માય.
- શ્રી યોગેશ્વરજી