if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અરૂણાચલ પર્વત પર વાંદરાઓ પણ સ્વાભાવિક રીતે જ એકઠા થતા ને વૃક્ષો પર ચઢીને ઈચ્છાનુસાર ક્રીડા કરતા. મહર્ષિના સંપર્કમાં જુદી જુદી જાતના બીજા જીવોની જેમ એમને પણ આવવાનું થયું. એ સંપર્ક ધીમેધીમે આગળ વધ્યો, વિકસ્યો અને આત્મીયતામાં પરિણમ્યો. એ પર્વત પર રહેતા વાંદરાઓ સાથે રહેતા, કોઈ પણ પ્રકારના સંકોચ કે ભય વિના ભળી જતા, એમના ઝઘડા મટાડતા, કલહોનું યુક્તિપૂર્વક નિવારણ કરતા અને એમની અંદર સંપ તથા શાંતિ સ્થાપતા. એ એમની ભાષાને જાણે કે જાણતા અને એમની સાથે વિચારવિનિમય કરી શક્તા. એમના સ્વભાવનું ને જીવનવ્યવહારનું એ સૂક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કરતા. એ કોઈ કોઈ વાર કહી બતાવતા કે વાંદરાઓમાં રાજા હોય છે ને અંદર અંદર યુદ્ધ તથા સુલેહ થયા કરે છે. મનુષ્યોની સાથે કોઈ વાંદરો રહેવા માંડે ને અમુક વખત પછી ફરી પોતાની મંડળીમાં જઈને મળે તો એનું સારી પેઠે સ્વાગત નથી થતું. મંડળીના બીજા વાંદરા એને ઊતરતી કક્ષાનો અને અસ્પૃશ્ય માને છે. પરંતુ એ પરંપરાગત પ્રથામાં મહર્ષિ અપવાદરૂપ મનાતા. એમની સંગતિ શ્રેયસ્કર અને આદર્શ ગણાતી. એમની પાસે ઓછાવત્તા વખત માટે રહીને જે વાંદરા પાછા ફરતા તેમની તરફ કોઈ તિરસ્કારની નજરે ના જોતું પરંતુ મંડળ તરફથી એમનું સન્માન કરવામા આવતું.

વાંદરાઓની અંદર એક અથવા બીજા કારણે કોઈવાર ક્લેશ કે કલહ થતો ત્યારે એ સમાધાનની અભિલાષાથી એમની પાસે આવી પહોંચતા. એવે વખતે એ બંને પક્ષોની હકીકત શાંતિપૂર્વક સાંભળતા ને ન્યાય કરતા અથવા ફેંસલો આપતા તથા બંને પક્ષોમાં સુલેહ કરાવવાનો પોતાની રીતે પ્રયત્ન કરતા. એમની ભાષાથી એ અભિજ્ઞ હતા અથવા અનભિજ્ઞ એ વાતને બાજુએ રાખીએ તોપણ એમનું આકર્ષણ અને આત્મબળ એવું અસાધારણ અને અદ્દભૂત હતું કે મનુષ્યો સિવાયનાં એ બીજા પ્રાણીઓ પણ એમની ઉપર પ્રેમ રાખતાં, એમના સંસર્ગની ઈચ્છા સેવતાં, અને એમને વશ થઈને એમની ઈચ્છાનુસાર કાર્ય કરતાં.

વાંદરાઓના રાજાએ એકવાર ગુસ્સામાં આવીને વાંદરાના એક નાના બચ્ચાને કરડી ખાધું. એ બચ્ચું એથી ખૂબ જ ઘાયલ થઈને બેહોશ બની ગયું. એને મરી ગયેલું માનીને વાંદરાઓના રાજાએ ત્યાં જ છોડી દીધું, ને પોતે આગળ વનની અંદરના પ્રદેશમાં ચાલી નીકળ્યો.

બધા વાંદરાઓના વિદાય થયા પછી એ એકલા પડેલા બચ્ચાને લાંબા વખતે ભાન આવ્યું ત્યારે એ લંગડાતા પગે જેમતેમ કરીને આગળ વધ્યું ને વિરૂપાક્ષી ગુફા પાસે આવી પહોંચ્યું.

મહર્ષિના દિલમાં એને દેખીને દયા ઉત્પન્ન થઈ. એમણે આશ્રમવાસીઓને આદેશ આપ્યો. એ આદેશને અનુસરીને આશ્રમવાસીઓએ ભારે અનુકંપાપૂર્વક એ ઘાયલ બચ્ચાની સેવા કરી.

એ બચ્ચાનું નામ એ લંગડું હોવાથી નોંડિ રાખવામાં આવ્યું.

ધીરેધીરે સેવાનો લાભ મળવાથી નોંડિને આરામ થવા લાગ્યો.

છ સાત દિવસ થઈ ગયા એટલે નોંડિની મંડળીના વાંદરાઓ વિરૂપાક્ષી ગુફાના રસ્તે આવી પહોંચ્યા. નોંડિને નિહાળીને એ પ્રસન્ન થયા ને બધી પરિસ્થિતિ સમજી ગયા.

સામાન્ય રીતે મનુષ્યોના સહવાસમાં આટલા બધા સમય સુધી રહેલા કોઈ બીજા વાંદરાનો એમની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે એમણે લેશ પણ સંકોચ વિના કાયમને માટે પરિત્યાગ કર્યો હોત, પરંતુ નોંડિની વાત જુદી હતી. એ રમણ મહર્ષિ જેવા લોકોત્તર મહાપુરૂષના સંસર્ગમાં રહેલો અને એમની પ્રત્યે સૌને પ્રેમ તેમ જ આદરભાવ હતો એટલે એને એની મંડળીમાં પાછું પૂર્વવત્ માનવંતું સ્થાન મળી ગયું.

નોંડિ પોતાની મંડળીને જોઈને રાજી થયો. એણે પોતાને કરડનારા વાંદરાઓના રાજા તરફ સંકેત કરીને મહર્ષિને એની ઓળખાણ આપી એટલે મહર્ષિ સઘળી વાત સમજી ગયા.

મહર્ષિએ રાજાને મીઠો ઠપકો આપ્યો, અને આશ્રમવાસીઓ દ્વારા એ સૌનો સમુચિત સત્કાર કરાવ્યો. ત્યારથી મહર્ષિ પોતાના મહાન મિત્ર, માર્ગદર્શક અને હિતેચ્છુ છે એની એમને ખાતરી થઈ.

એ ખાતરી ને વિશ્વાસની ભાવના દિનપ્રતિદિન વધતી ગઈ. પછી તો વાંદરાઓની એ મંડળી ઈચ્છાનુસાર અવારનવાર મહર્ષિના શાંત એકાંત આશ્રમમાં આવી જતી અને ક્રીડા કરતી. મહર્ષિને નિહાળીને એ ખૂબ જ પ્રસન્ન થતી. મહર્ષિ પણ એ ચિરપરિચિત હોય એમ એને અવલોકીને આનંદમાં આવી જતા અને આશ્રમવાસીઓને એમનો સત્કાર કરવાનું કહેતા. આશ્રમવાસીઓનો  સુયોગ્ય સત્કાર પામીને એ મંડળી વનના વિહાર માટે આગળ ઊપડી જતી.

નોંડી આશ્રમવાસીઓને જોઈને પોતાનો પૂર્વપરિચય યાદ કરીને વધારે આનંદમાં આવી જતો. એમને એ પોતાના સ્નેહાળ સંબંધીઓ સરખા સમજતો. મહર્ષિને તો એ ભૂલી શકે જ કેવી રીતે ? એમણે પોતાની પરાધીન પીડિત દશામાં જે મમતા ને સહાનુભૂતિ બતાવેલી તે એને યાદ હતી. એને લીધે એમની ઉપર એ પોતાનો વિશેષ અધિકાર માનતો. એ એમની પાસે જઈને લાંબા વખત લગી બેસી રહેતો ને બીજાને રુઆબ બતાવતો.

નોંડિ હતો તો વાંદરો પરંતુ બીજા વાંદરાઓ કરતાં કેટલીક રીતે વિલક્ષણ હતો. એની અંદર કેટલીક નોંધપાત્ર, યાદગાર, વિશેષતાઓ હતી. એને જોનારાના કહ્યા પ્રમાણે એ ખૂબ જ સ્વચ્છ રહેતો. ખાતી વખતે અન્નનો એકપણ દાણો નીચે ના પડવા દેતો, અને કોઈવાર ઉતાવળ કે ભૂલને લીધે પડી જતો તો તરત જ વીણી લઈને ખાઈ જતો.

એક દિવસ એણે કોઈક કારણથી થોડુંક અનાજ છોડી દીધું. એ જોઈને મહર્ષિએ એને ટોકતાં તરત જ કહ્યું : ‘અનાજ શા માટે છોડી દીધું ? એવી રીતે છાંડવાની પદ્ધતિ બરાબર નથી.’

નેહ ભરેલો નોંડિ એવા ઠપકાને સાંભળી શકે ખરો ? અને એ પણ બીજા કોઈના નહિ ને જેમને માટે પોતાને પુષ્કળ મમતા હતી એ મહર્ષિના ઠપકાને ? એણે ક્રોધે ભરાઈને એમની આંખ પર તમાચો મારી દીધો.

સારું થયું કે મહર્ષિની આંખ બચી ગઈ. છતાં પણ એમને થોડું ઘણું વાગ્યું તો ખરું જ.

એના એ કુકર્મને માટે એને દંડ મળ્યો.

એવા અબોધ પ્રાણીને બીજો તો કયો દંડ દઈ શકાય ? છતાં પણ કેટલાક દિવસ સુધી મહર્ષિએ એને પોતાની પાસે  બેસવાના વિશેષાધિકારથી વંચિત રાખ્યો.

એને માટે એ દંડ ઘણો મોટો અથવા આકરો થઈ પડ્યો. વખતના વીતવા સાથે એ પોતાના અપરાધને સમજી ગયો. એનું દિલ દુઃખી થયું. એને એના દુષ્કર્મને માટે પશ્ચાત્તાપ થયો. એનું અંગેઅંગ આક્રંદ કરી ઊઠ્યું. પછી તો એણે એ મમતારહિત પવિત્ર પ્રેમભાવવાળા મહાપુરૂષને પગે પડીને વારંવાર માફી માગી. એ વખતની એની દશા જોવા જેવી હતી.

મહર્ષિનું હૃદય પાષાણ જેવું કઠોર તો હતું નહિ. એ તો એના સુધારને માટે એને પદાર્થપાઠ આપી રહેલા. એ પદાર્થપાઠ પૂરો થયો ને સુયોગ્ય સમય આવ્યો એટલે એ પીગળી ગયા. એના પરિણામે એમની પાસે બેસવાનો પૂર્વાધિકાર એને ફરી પાછો પ્રાપ્ત થયો. એની પ્રસન્નતા ને પરિતૃપ્તિનો પાર ના રહ્યો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.