નટનાનંદ સ્વામીનું મૂળ નામ નટેશ મુદ્દલિયાર હતું. એ એક પ્રાથમિક સ્કૂલમાં અધ્યાપકનું કામ કરતા. ગૃહાસ્થાશ્રમમાં પ્રવેશ્યા પછી એમને જ્ઞાનતિરટ્ટુ નામે પુસ્તક મળ્યું. એ પુસ્તક સ્વામી વિવેકાનંદના જ્ઞાનયોગ પરનાં પ્રવચનોના સંક્ષિપ્ત તામિલ અનુવાદરૂપ હતું. એમણે એને એ વિષયમાં વિશેષ રસ તેમજ રુચિ હોવાથી અત્યંત ઉત્સાહ, લગન અને એકાગ્રતાપૂર્વક વાંચી કાઢ્યું. એમને એમાંથી પ્રકાશ મળ્યો. યૌવનાવસ્થા તેમજ ગૃહસ્થાશ્રમનો આનંદ હોવા છતાં એમના મનમાં ધીમે ધીમે વૈરાગ્યનો ઉદય થવા લાગ્યો. ભૌતિક સુખોપભોગમાં જીવનના બહુમૂલ્ય સમય ને શક્તિનો વ્યય કરવા કરતાં એનો સદુપયોગ કરીને આત્મોન્નતિનાં સર્વોચ્ચ શિખરોને સર કરવાનો સંકલ્પ પેદા થયો.
પરંતુ એ સંકલ્પની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? આત્મોન્નતિની સાધનામાં સફળતાપૂર્વક સુચારુરૂપે સંતોષપૂર્વક આગળ વધવા માટે કોઈક સુયોગ્ય સ્વાનુભવસંપન્ન પથપ્રદર્શક અથવા ગુરૂ જોઈએ. સ્વામી વિવેકાનંદને જેમ રામકૃષ્ણ પરમહંસદેવ મળેલા તેમ એવા કોઈ સુયોગ્ય સત્પુરૂષની પ્રાપ્તિ થાય તો સઘળું કામ સહેલું બની જાય.
એમણે સદગુરૂની શોધનો આરંભ કરી દીધો. કોઈએ એ દિવસોમાં કહ્યું પણ ખરું કે અરૂણાચલ પર્વત પર એક સમર્થ સંત વરસોથી વાસ કરે છે. એ સિદ્ધાવસ્થાએ પહોંચેલા તથા જીવનમુક્ત ને જ્ઞાની છે. પરંતુ કોઈના પ્રત્યે વિશેષ પ્રેમ નથી બતાવતાં ને કોઈને ઉપદેશ નથી આપતા. એટલે એમને ગુરૂ બનાવવામાં મુશ્કેલી છે.
એ માહિતી મળવાથી નટેશને આનંદ થયો. એમણે મહર્ષિના દર્શનનો ને બને તો એમને ગુરૂ તરીકે સ્વીકારવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પને અનુસરીને એ ઈ.સ. ૧૯૧૮માં અરૂણાચલ પર્વત પરના સ્કંદાશ્રમમાં મહર્ષિ પાસે આવી પહોંચ્યા.
મહર્ષિના દર્શનથી એમને આનંદ થયો. એ મહાપુરૂષની મહત્તાની એમની ઉપર સુંદર છાપ પડી. પરંતુ મહર્ષિ શાંત જ રહ્યા. કલાકો વીતી ગયા તો પણ એ કશું બોલ્યા જ નહિ. એમની સાથે પોતાના પ્રયોજનને અનુસરીને વાત કરવાની નટેશની હિંમત ના ચાલવાથી એમને સ્વાભાવિક રીતે જ નિરાશા થઈ. એમને થયું કે આ મહાપુરૂષ ઉચ્ચાવસ્થા પર પહોંચેલા ને લોકોત્તર લાગતા હોવા છતાં મને શિષ્ય તરીકે સ્વીકારી નહિ શકે. મારે મારા અંતરની અશાંતિની નિવૃત્તિને માટે કોઈક બીજા સંતપુરૂષની શોધ કરવી પડશે. સંભવ છે કે એવી શોધ કરતાં કરતાં કોઈક સુયોગ્ય સાનુકૂળ સદગુરૂની પ્રાપ્તિ થઈ જાય. અહીં આવવાથી એટલો લાભ તો જરૂર થયો કે આ મહાપુરૂષનો મેળાપ થયો પરંતુ શોધ હજુ અધૂરી જ રહી. કોણ જાણે હજુ મારે ક્યાં સુધી ને ક્યાં ક્યાં ફર્યા કરવાનુ છે !
આખરે એ ઊભા થયા ને નમસ્કાર કરીને ચાલવા લાગ્યા તો પણ મહર્ષિ કશું બોલ્યા નહિ.
એમનું અંતર આખરે એવું જ અશાંત રહ્યું અને બીજો કોઈ વિકલ્પ ના દેખાવાથી એ હતાશ હૃદયે, વિષાદપૂર્ણ વદને પર્વત પરથી નીચે ઊતર્યા.
ઘેર આવ્યા પછી પણ ચેન ના પડવાથી એ સદગુરૂની શોધ કરતા જ રહ્યા. એ શોધ દરમિયાન સારાનરસા સાધુસંતોના સંપર્કમાં આવવાથી ચિત્રવિચિત્ર અનુભવો થતા રહ્યા પરંતુ શાંતિ ના મળી. સદ્દગુરૂની શોધ માટે આતુર બનેલું એમનું અંતર આખર લગી અતૃપ્ત જ રહ્યું ત્યારે એમને લાગ્યું કે મહર્ષિ કરતાં વધારે સારા સદગુરૂ બીજા કોઈ જ નહિ મળી શકે. એમને ગુરૂ કરવાથી જ જીવનનું શ્રેય સાધી શકાશે. પરંતુ સમસ્યા એ છે કે એમને ગુરૂ કરવા કેવી રીતે ? એ તો ગુરૂ થવાનો કે શિષ્ય બનાવવાનો કશો રસ જ નથી લેતા લાગતા. અરે, બરાબર જોતા કે બોલતા જ નથી ને !
એ જમાનાના કેટલાક બીજા સંત મહાત્માઓની મુલાકાત પણ એ લેતા રહ્યા, પરંતુ કોઈની પાસેથી એમને ધારેલી શાંતિ ના મળી. એમનું મન અશાંત જ રહ્યુ. આખરે એ બધા અનુભવોને અંતે એ સંન્યાસ લેવાના વિચાર તરફ ઢળવા લાગ્યા.
એ વિચારો ને ભાવોથી પ્રેરાઈને એમણે મહર્ષિને પત્ર લખ્યો. ઈ.સ. ૧૯૨૦માં લખેલા એ પત્રમાં જણાવ્યું કે મારી સ્થિતિ આવી નાજુક છે. તમારા દેવદુર્લભ દર્શનનો લાભ મને એકવાર મળ્યો છે ખરો પરંતુ તમારી કૃપા મારા પર નથી થઈ. વાદળાં જેમ વ્યોમમાં એકઠાં થઈને વરસ્યા વિના જ વીખરાઈ જાય તેમ તમે તમારા મંગલમય મેળાપ છતાં મારા પર અનુગ્રહનો વરસાદ નથી વરસાવ્યો. મારા જેવા અભાગી પર તમારી દયા ના થઈ. પક્ષીઓ પોતાના જેવાં બીજાં પક્ષીઓને બોલાવીને સાથે મળીને ખાય છે. એ એકલપેટાં ને સ્વાર્થી નથી હોતાં. માણસ જો સ્વાર્થી બને તો તેમાં તેની શોભા શી ? આવી રીતે મૌનવ્રત ધારણ કરીને ઉદાસીન બનીને બેસી રહેવાનું તમારે માટે યોગ્ય છે ? એ તમારા સરખા સત્પુરૂષને શોભે છે ? તમે તો જીવનમુક્ત છો. તમારું જીવન શાને માટે છે ? સંસારના ત્રિતાપમાં અટવાયલા ને તપ્ત બનેલા અમારા જેવા જીવોને નિર્મમ ને નિર્દય થઈને છોડી દેવાનું અને અમને ઉગારવા માટે આગળ નહિ આવવાનું વલણ શું બરાબર છે કે ? કૃપા કરીને મને ઉત્તર આપશો એવી આશા રાખું છું. તમારા પત્ર દ્વારા આદેશ મળતાં જ તમારાં ચરણોમાં હાજર થઈ જઈશ.
એ પત્ર ખૂબ જ પ્રેમ, લગન, ઉત્કટતા ને વેદનાપૂર્વક લખાયલો. એની ભાષા પરથી એ સ્પષ્ટ હતું. નટેશે એના પ્રત્યત્તરની આતુર હૃદયે રાહ જોઈ છતાં પણ એ પ્રત્યુત્તર ના આવ્યો. એમની એક મહિનાની પ્રતીક્ષા પણ વ્યર્થ ગઈ ત્યારે તો હતાશા અને પીડાનો પાર ના રહ્યો. એમને થયું કે મહર્ષિને મારો પત્ર પહોંચ્યો હશે ખરો ? જો પહોંચ્યો હોય તો એ ઉત્તર આપ્યા વિના ના જ રહે. વધારે ચોક્કસ તથા શંકારહિત બનવા માટે એમણે બીજીવારનો પત્ર રજિસ્ટર્ડ કરીને મોકલ્યો અને એમાં લગભગ આવા ભાવનું લખ્યું :
‘તમે જ મારા અશરણના શરણ છો. મેં તમારો સાચા દિલથી આધાર લીધો છે તો મારો સ્વીકાર કરો. આ જન્મમાં મારામાં તમારા કૃપાપાત્ર શિષ્ય બનવાની યોગ્યતા ના હોય તો ભલે બીજા જન્મમાં, પરંતુ તમારા વિના મારાથી બીજા કોઈને પણ ગુરૂ તરીકે કદાપિ નહિ સ્વીકારી શકાય. મારા સદગુરૂ તમે જ છો. આ જન્મમાં મને શિષ્ય તરીકે નહિ સ્વીકારો તો મારા સંકલ્પના બળથી મારી સાચી ભાવનાને પૂરી કરવાના પ્રયોજનથી પ્રેરાઈને તમારે ફરી અવતાર લેવો જ પડશે. ’
એવી ઉત્કટ ભાવનાવાળા સાધકને ઉત્તર ના મળે એવું કદાપિ બની શકે ખરું ?
થોડાક દિવસ પછી એમને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્ન ખૂબ જ સૂચક હતું. એમાં એમને મહર્ષિનું દર્શન થયું. એથી એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમાં અભિવૃદ્ધિ કરતા સુમધુર શાંત સ્વરમાં મહર્ષિએ જણાવ્યું : ‘મારા ધ્યાનમાં વખત વિતાવવાથી શું વળશે ? નન્દીશ્વર મહાદેવનું ધ્યાન કરો. એથી આનંદ થશે. પહેલાં એમનો અનુગ્રહ પ્રાપ્ત કરો એટલે માર્ગ ખુલ્લો થશે ને મારી મદદ તો આપોઆપ મળી રહેશે.’
સ્વપ્ન સાનુકૂળ હોય છે ત્યારે અસીમ સુખ ધરે છે. એ સ્વપ્ન ઈશ્વરના કે મહર્ષિના અદભુત અનુગ્રહરૂપ હતું. એને અનુસરીને એમણે નન્દીશ્વર મહાદેવના ધ્યાનનો આરંભ કર્યો. એમના અશાંત અંધકારગ્રસ્ત જીવનને એ સ્વપ્નાનુભવ પ્રસંગથી નવીન પ્રકાશ મળ્યો. એમની સાધનામાં નવો જ પ્રવાહ પેદા થયો.
એ જ દિવસો દરમિયાન એમને શ્રી વાસુદેવ શાસ્ત્રી દ્વારા લખાયેલ પત્ર મળ્યો. એમાં લખેલું કે તમારા બંને પત્રો મળ્યા છે, પરંતુ સ્વામીજી પત્ર દ્વારા પ્રત્યુત્તર નહિ આપે. માટે અહીં આવીને એમનું દર્શન કરી લો એ જ બરાબર છે.
નટેશને લાગ્યું કે ભાગ્યચક્ર હવે પોતાને અનુકૂળ છે. એ વિનાવિલંબ, ખૂબ જ ઉત્સાહપૂર્વક તિરુવણ્ણામલૈ જવા માટે વિદાય થયા. તિરુવણ્ણામલૈ પહોંચીને એમણે એ રીતે અરૂણાચલના મંદિરમાં જ મુકામ રાખ્યો.
એ દિવસ ઈ.સ. ૧૯૨૦ના મે ની બીજી તારીખનો હતો. નટેશને માટે એ દિવસ એક ચિરસ્મરણીય દિવસ બની ગયો.
મહર્ષિને પ્રેમપૂર્વક પ્રણામ કરીને એ એમના ઉપદેશની આશાથી એમની પાસે ચારથી પાંચ કલાક લગી બેસી રહ્યા તો પણ મહર્ષિ કશું ના બોલ્યા. એ પણ શાંત રહીને ત્યાંના વાતાવરણનો આસ્વાદ લેતા રહ્યા. છેવટે રાતના ભોજનનો સમય થવા આવ્યો અને મહર્ષિ એને માટે ઊઠવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે અય્યરે સાહસ કરીને નટેશનો પરિચય આપતાં એમણે લખેલા પત્રોનું સ્મરણ કરાવ્યું તો પણ મહર્ષિનું મુખ ના ઊઘડ્યું. એકાદ બે વાર નટેશ તરફ ગંભીરતાપૂર્વક નજર નાખી એટલું જ.
નટેશ સમય પૂરો થયો જાણીને અય્યર સાથે અરૂણાચલ પરથી નીચે ઊતર્યા. એમણે મહર્ષિ સાથે મન મૂકીને વાતો કરવાના ભાતભાતના ઘાટ ઘડી રાખેલા; પરંતુ એ બધા જ ઘાટ નિરર્થક ઠર્યા. એમની સાથે એક શબ્દ પણ ના બોલી શકાયો એનો અફસોસ એમના મનમાં રહી ગયો.
મહર્ષિ એમની મુલાકાત વખતે કશું બોલ્યા વિના જ શાંત બેસી રહ્યા એ સાચું, છતાં પણ એમનું સાંનિધ્ય અત્યંત આકર્ષક અને આનંદદાયક હતું એમાં સંદેહ નહિ. એમનું માત્ર દર્શન પણ ઓછું પ્રેરક અને સુખદ નહોતું લાગતું. એમની સંનિધિ શબ્દના ઉચ્ચારણ સિવાયની ને શાંત હોવા છતાં કંટાળાજનક નહોતી લાગતી. એમની આજુબાજુનું વાતાવરણ અતિશય આરામદાયક અથવા અલૌકિક લાગતું અને એમ થયા કરતું કે આ શાંત વાતાવરણનો લાભ લેતાં અને એમનું દર્શન અથવા અવલોકન કરતાં વધારે ને વધારે વખત સુધી બેસી જ રહીએ અને શાંતિ મેળવીએ. એમનું મૌન ઉપરથી લાદેલું કે લીધેલું નહિ પણ આત્માનુભૂતિના પ્રત્યક્ષ પરિણામરૂપ ને સહજ હોવાથી જડ નહિ પરંતુ ચિન્મય લાગતું, પ્રકાશ પહોંચાડતું ને પ્રેરણા પાતું. એની અસરથી એની આગળ અવારનવાર અસંખ્ય સાધકો તેમજ જિજ્ઞાસુઓનાં દિલનાં દ્વાર ઊઘડી જતાં અને અનેકને નવજીવન મળતાં. નટેશને ખાલી હાથે પાછા ફરવા જેવું લાગ્યું તો પણ એ મહર્ષિના જાદુઈ વ્યક્તિત્વથી આકર્ષાયા વિના ના રહી શક્યાં. એમનું રહસ્યમય મૌન એમને ખેંચી રહ્યું. એમની સંનિધિમાં વધારે ને વધારે રહેવાની આકાંક્ષા એમના મનમાં ઉત્પન્ન થયા વિના ના રહી શકી.
એ આકાંક્ષાથી પ્રેરાઈને એ પ્રત્યેક મહિને એમના દર્શને આવવા માંડ્યા. એ જોતા કે કેટલાક લોકો એમને પ્રશ્નો પૂછે છે અને આત્મનિવેદન કરે છે તો પણ એમની વાત કરવાની હિંમત ના ચાલી. મહર્ષિ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મોટે ભાગે સ્મિત કરતા. એમના પ્રશ્નના ઉત્તરમાં પણ એનો અનુભવ થઈ ચૂકેલો એટલે એ શાંત જ રહ્યા.
એક વરસ સુધી એવી રીતે શાંતિપૂર્વક પ્રતીક્ષા કર્યા પછી એમણે હિંમત કરીને કરુણ સ્વરમાં કહ્યું : ‘તમારા અનુગ્રહની અનેક વાતો ભક્તો તથા પ્રશંસકો દ્વારા મારા સાંભળવામાં આવી છે. એ વાતોમાં મને શ્રદ્ધા છે. એમને અનુસરીને તમારા અનુગ્રહનું રહસ્ય જાણીને એના અનુભવની આકાંક્ષા રાખું છું.’
મહર્ષિએ શાંતિપૂર્વક જણાવ્યું :
‘મારો અનુગ્રહ તો સદાને માટે થયા કરે છે. તમે એને ઓળખી કે સમજી ના શકો તો હું શું કરું ? ’
એ શબ્દો પરથી લાગ્યું કે મહર્ષિનું મૌન એમના અસાધારણ અનુગ્રહરૂપ છે.
એ પ્રસંગ પછી થોડા દિવસે એમને એક બીજું સ્વપ્ન આવ્યું. એમાં મહર્ષિએ દર્શન આપીને એમને કહ્યું કે બંને નેત્રો એક જ વિષયને નિહાળે છે. એ દૃષ્ટિને સ્થિર કરીને અંદર તથા બહારના પદાર્થોને જોવાનું બંધ કરો : એ અભ્યાસથી એકત્વનો અનુભવ સહજ બનશે.
એમણે એ અભ્યાસ સંબંધી શંકા વ્યક્ત કરી તો એના ઉત્તરમાં મહર્ષિએ સર્વ પ્રકારની શંકાઓનો પરિત્યાગ કરીને આત્મદર્શનને માટે એ જ અભ્યાસનું અનુસરણ કરવાનો આદેશ આપ્યો. એ આદેશને અનુસરીને એમણે અભ્યાસનો આરંભ પણ કરી દીધો.
એ પછી એકવાર સ્વપ્નમાં મહર્ષિએ એમને પોતાની પાસે લઈ જઈને એમના મસ્તક પર હાથ મૂક્યો, ને પછી હૃદયની જમણી બાજુએ આંગળી દબાવી. એથી થોડુંક દર્દ થયું પરંતુ નટેશે એને એમનો અનુગ્રહ સમજીને સહી લીધું. એ અનુગ્રહ દ્વારા મહર્ષિએ એમને સ્પર્શદીક્ષાનું દાન કરેલું અને આત્મભાવમાં સ્થિતિ કરવાનો સંદેશ સંભળાવેલો.
* * * * * * * * * * * *
એક દિવસ એ મહર્ષિની પાસે બેઠેલા ત્યારે ત્યાં આવેલા કેટલાક ઉચ્ચ શ્રેણીના સંતો એમના વ્યક્તિગત અનુભવોની વાતો કરવા માંડ્યા. એ સાંભળીને એમને નિરાશા થઈ કે આ જીવનમાં તો મને આવા ઉત્તમ અનુભવો નથી થયા. હવે બીજા જન્મમાં પણ થશે કે નહિ તે કોણ જાણે છે ? ત્યાં તો મહર્ષિ એમના મનોભાવોને માપીને તરત જ બોલી ઊઠ્યા કે આવી બેચેની શા માટે ? તમે જે ઈચ્છો છો તે તમારી પાસે જ છે. જે પાસે જ છે ને રહેશે એને માટે નિરાશ તેમ જ દુઃખી થવાનું ઉચિત છે ખરું કે ? આજે જેનો અનુભવ નથી થતો તે કાલે અનુભવાશે. આવી નાની વાત માટે વ્યગ્ર થવું બરાબર નથી. તમે અધિકારી ના હોત તો સંતોના દર્શન સમાગમની ભાવના જ તમારામાં કેવી રીતે પેદા થાત ?
એ શબ્દો એમને માટે સાંત્વનરૂપ થઈ પડ્યા.
* * * * * * * * * * * *
નટેશનાં કુટુંબીજનોને પણ મહર્ષિ પર પ્રેમ ને પૂજ્યભાવ હતો. એથી પ્રેરાઈને એ સૌ જુદી જુદી રીતે સમયાનુરૂપ એમની સેવા કરતાં. નટેશ એવું માનતા કે ગૃહસ્થાશ્રમ મન તથા ઈન્દ્રિયોના વિજય અને આત્મદર્શનમાં અંતરાયરૂપ છે. એને લીધે સુચારુરૂપે સાધના નથી થતી ને શાંતિ પણ નથી મળતી. માટે એનો ત્યાગ કરી દઈને સંન્યાસ લેવો જોઈએ. એમણે મહર્ષિ પાસે સંન્યાસ લેવાની અનુમતિ માગી તો એ તરત જ બોલી ઊઠ્યા :
‘ઘરમાં એક અંતરાય છે તો વનમાં અનેક વિક્ષેપો કે વિરોધો તો તમારી કસોટી કરવા માટે આવે છે. જ્ઞાન થયા પછી ઘરમાં ને સંન્યાસમાં અંતર નથી રહેતું. આશ્રમમાં ઘરની ચિંતા નથી સતાવતી તેવી રીતે ઘરને આશ્રમ માનીને નિશ્ચિંત બનીને નિવાસ કરો.’
મહર્ષિએ એવી રીતે એમને બે ત્રણ વાર વિષય નીકળ્યો ત્યારે સંન્યાસ લેવાનો ઉત્સાહ ના આપ્યો. પરંતુ એ સંન્યાસનો નિર્ણય કરી ચૂકેલા. અને એને અનુસરીને આખરે એમણે સંન્યાસ લીધો પણ ખરો. એમની ઉપર મહર્ષિનો અનુગ્રહ માનીને એમનાં કુટુંબીજનોએ એમનો વિરોધ ના કર્યો. એમણે નોકરી છોડીને પહેલાં તો અરૂણાચલની સુખદ સ્વર્ગીય સંનિધિમાં રહેવા માંડ્યું ને ઈ.સ. ૧૯૨૭માં વિધિપૂર્વક સંન્યાસ લીધો. સંન્યાસી થયા પછી એમનું નામ સ્વામી નટનાનંદ રાખવામાં આવ્યું.
કહે છે કે કોઈક અનિવાર્ય સંજોગોને લીધે નટનાનંદને ફરીવાર ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવો પડેલો. એમને અને એમના પરિચિતોને ત્યારે જ સમજાયું હશે કે મહર્ષિ એમને શરૂઆતથી જ સંન્યાસ લેવાનો આદેશ અથવા ઉત્સાહ શા માટે નહોતા આપતા. એમને માટેનું નિર્માણ કદાચ એ પોતાની દૈવી દૃષ્ટિથી જાણી ચૂકેલા. ઉત્તમ અથવા આદર્શ ગુરૂ એ જ કહેવાય છે જે શિષ્યની રુચિ તથા યોગ્યતા અને ભૂતભાવિ જીવનપ્રવાહનો વિચાર કરીને એને સમ્યક્ પથપ્રદર્શન પૂરું પાડે. મહર્ષિ ગુરૂપણાનો ભાવ ના રાખતા તેમજ દાવો ના કરતા છતાં પણ સર્વોત્તમ સદ્દગુરૂ હતા એમાં શંકા નહિ. એમની અસાધારણતાનું સ્મરણ કરીને એમને પ્રકરણની પરિસમાપ્તિ સમયે એકવાર ફરીવાર પ્રેમપૂર્વક પ્રણામ કરીએ.