રમણાશ્રમની રચના ભક્તોને માટે અત્યંત અનુકૂળ, આનંદદાયક અને આશીર્વાદરૂપ રહી. ત્યાં રહીને અને ભેગા થઈને ભક્તો કે જિજ્ઞાસુઓ આધ્યાત્મિક ભાથું ભરવા લાગ્યા. મહર્ષિની ખ્યાતિ ચંદ્રની ચારુ કળાની પેઠે દિનપ્રતિદિન વધતી ગઈ એને સાંભળીને કેટલાક એમનું દર્શન કરવા, કેટલાક શંકાશીલતાથી પ્રેરાઈને એમની કસોટી કરવા, કેટલાક કુતૂહલવૃત્તિને સંતોષવા, તો બીજા કેટલાક આદર્શ આધ્યાત્મિકતા અને અસાધારણ શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને એમનો અલૌકિક અનુગ્રહ અને એમનું અનુભવસિદ્ધ અનોખું અમોઘ માર્ગદર્શન મેળવવા આવવા માંડ્યા. પુષ્પોના પરિમલપાવન ઉપવનમાં ભ્રમરો વિનાનિમંત્રણ આવી પહોંચે છે ને નદીના નિર્મળ નીરનો આસ્વાદ લેવા ભાતભાતના ને જાતજાતના જીવો સ્વાભાવિક રીતે ને પોતાની મેળે એકઠા થાય છે. તેમ એમની પાસે અસંખ્ય આત્માઓ દૂરનાં ને પાસેનાં સ્થળોએથી આવવા લાગ્યા. એમણે જ્યારે એક અથવા બીજી રીતે જાણ્યું કે તિરુવણ્ણામલૈમાં અરૂણાચલ પર્વતની તળેટીના પવિત્ર પ્રદેશમાં રમણ મહર્ષિ નામના સાક્ષાત્કારસંપન્ન આત્મનિષ્ઠ મહાપુરૂષ આપણા જ જમાનામાં આ ઘોર કિલ્મિષયુક્ત કલિકાળમાં વસી રહ્યા છે અને એમનો સમાગમ સૌ કોઈને સુલભ છે ત્યારે એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો. ભૂખ્યાને જાણે કે ભોજનની, પિપાસુને પાણીની, સંતપ્તને શીળી છાયાની ને નિર્ધનને ધનભંડારની પ્રાપ્તિની આશા બંધાઈ.
જેવું જેનું પાત્ર તેવું કે તેટલું તેનું પાણી એ ન્યાયે ત્યાં આવનારા દર્શનાર્થીને એમની યોગ્યતા પ્રમાણે, એમના અધિકારને અનુસરીને, એ મહાપુરૂષનો લાભ મળવા માંડ્યો. કોઈ દર્શનથી જ તૃપ્ત થયા તો કોઈ જાતજાતના પ્રશ્નો પૂછવા છતાં પણ અતૃપ્ત રહ્યા : કોઈને સારું એમનો સ્વલ્પ સંસર્ગ સુખકારક ને શાંતિપ્રદાયક થઈ પડ્યો તો કોઈનો આત્મા આશ્રમમાં દિવસો સુધી રહ્યાં છતાં પણ અશાંત રહ્યો. કોઈને એ મહામાનવની મંગલ મળરહિત દૃષ્ટિમાં માર્ગદર્શન મળી ગયું ને જીવનનું અમૂલખ ધન જડી ગયું તો કોઈ અસંખ્ય કૃપાદૃષ્ટિની વચ્ચે પણ કંગાળ રહ્યા : જેવી જેની ભક્તિ, દૃષ્ટિ અને શક્તિ તેવી પ્રતિક્રિયા તેના પર પડવા માંડી. પરંતુ પરિવર્તનની એક મહાન પ્રક્રિયા એમને લીધે પ્રારંભ પામી એ નિર્વિવાદ છે. જીવનના આધ્યાત્મિક ઉત્કર્ષનું એક પ્રાણવાન પરમોત્તમ પરિબળ એમના રૂપમાં પ્રકટ થઈને એ આશ્રમમાંથી અહર્નિશ પ્રવૃત્તિ કરવા માંડ્યું. આશ્રમ પોતે એમની ઉપસ્થિતિને લીધે આધ્યાત્મિક પાવરહાઉસ જેવો બની ગયો. જીવનવિકાસમાં રસ લેનારા સાધકો તથા જિજ્ઞાસુઓને એક અનુકૂળ અધિષ્ઠાન મળી ગયું. ધીમે ધીમે એ મહાપુરૂષની પેઠે એમના આશ્રમની ખ્યાતિ પણ દેશપરદેશમાં ફેલાવા લાગી. એથી અનેક આત્માઓ આકર્ષાઈને અરૂણાચલ પર્વતની તળેટીના એ પવિત્ર પ્રદેશમાં આવવા માંડ્યા. ભારતીય સાધના ને સંસ્કૃતિએ પોતાના ગૌરવને વધારવા ને પોતાના મહિમાથી બીજાને મહિમામય કરવા એક અસાધારણ અભિનવ કેન્દ્રને ખુલ્લું મૂક્યું. એ કેન્દ્ર અનેકને માટે આશીર્વાદરૂપ ઠર્યું.
આશ્રમના એ સ્થાનમાં મહર્ષિને એકાએક આવવાનું થયું અને એમની આસપાસ આશ્રમનું નિર્માણ થયું એ પ્રવૃત્તિની પાછળ પરમાત્માની પરમશક્તિ અથવા અદૃષ્ટ ઈચ્છા કે યોજના જ કામ કરી રહેલી એની પ્રતીતિ મહર્ષિના ઉદગારો પરથી સહેલાઈથી થઈ રહે છે. એકવાર પ્રસંગોપાત્ત એમણે પોતે જ કહેલું :
‘સ્કંદાશ્રમને મેં મારી પોતાની ઈચ્છાથી નથી છોડ્યો. કોઈએ મારે માટે અહીં રહેવાની યોજના કરી ને મેં એની આજ્ઞાને માથે ચઢાવી. એની પાછળ મારી ઈચ્છા અથવા સ્વેચ્છા કામ નહોતી કરતી : એ પરેચ્છાનું અથવા ઈશ્વરની ઈચ્છાનું જ પરિણામ હતું.’
એક બીજા પ્રસંગ પર પોતાની માતાનો ઉલ્લેખ કરતાં એમણે શાંતિપૂર્વક, કોઈપણ પ્રકારની લાગણીના આવેગ વિના જણાવેલું :
‘એ ક્યાં ગઈ છે ? એ તો અહીં જ છે.’
એમના એ શબ્દોનો ભક્તોએ એવો અર્થ કર્યો કે એમની માતા વિદેહમુક્ત બનીને એમની સાથે એ જ વાતાવરણમાં વસી રહ્યાં છે. એમના પ્રભાવને વધારે ને વધારે પ્રમાણમાં પ્રવાહિત કરવા માટેના મહાકાર્યમાં એ આદ્યશક્તિરૂપે સહયોગ પ્રદાન કરીને એમના જીવનકાર્યને પડદા પાછળ રહીને અજ્ઞાત રીતે આગળ વધારી રહ્યાં છે. મહાસમાધિ પછી એ અધિક સક્રિય, શક્તિશાળી અને અસરકારક રીતે કાર્ય કરે છે. મહર્ષિને એ કાર્યની ખબર હતી અને એમની ઉપસ્થિતિનો અનુભવ એ સારી પેઠે કરી રહેલાં. એમના સંક્ષિપ્ત છતાં સારવાહી ઉદગારો પરથી એ સ્પષ્ટ હતું.
મહર્ષિની સંમતિથી એમના સમાધિમંદિરનું નવનિર્માણ કાર્ય ઈ.સ. ૧૯૪૯ના ફેબ્રુઆરીના અંતમાં થઈ ગયું અને મહાકુંભાભિષેક ૧૯૪૯ના માર્ચની સત્તરમીએ થયો એ હકીકતનો ઉલ્લેખ મહર્ષિના માતૃપ્રેમના અનુસંધાનમાં ખાસ કરી લઈએ.
* * * * * * * * * * * *
રમણાશ્રમની પ્રવૃત્તિ તથા ઘટનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં પહેલાં એ આશ્રમના આરંભ પછી સ્વલ્પ સમયમાં જ બનેલા એક કરુણ અમંગલ પ્રસંગનું ઊડતું વર્ણન અથવા વિહંગાવલેકન કરી લઈએ. એ પ્રસંગ ચોરીનો હતો.
કોઈને પ્રશ્ન થશે કે મહર્ષિ પાસે નાની કે મોટી કોઈ મિલકત તો હતી નહિ, એ પોતે તદ્દન અપરિગ્રહવૃત્તિથી રહેતા અને અપરિગ્રહવૃત્તિનું પરિપૂર્ણપણે પાલન કરતા, તો પછી આશ્રમમાં ચોરી કરવાની પ્રેરણા કોને ને શા માટે થઈ ? એમણે સમજી લેવું જોઈએ કે કેટલાક લોકો માને છે કે મઠો, મંદિરો અને આશ્રમોમાં અઢળક ધન હોય છે. એને લીધે તો એમાં ચોરી કરવાને કે લૂંટ ચલાવવાના આશયથી પ્રવેશે છે. ચોર લોકો ભગવાનના મંદિરને પણ નથી મૂકતા. મહર્ષિ પાસે કોઈ મિલકત ન હતી એ સાચું, પરંતુ કેટલાક ચોરો વધારે કે ઓછી મિલકત નથી જોતા. એ તો ચોરી કરવામાં અને એ દ્વારા ઓછુંવત્તું જે પણ પ્રાપ્ત થાય તે લેવામાં જ માનતા હોય છે. મહર્ષિ એકદમ અપરિગ્રહી હતા અને એમના આશ્રમમાં બીજી કોઈ વિશેષ સંપત્તિ ન હતી એ સાચું, પરંતુ એમનો આશ્રમ વખતના વીતવા સાથે વધતો જતો’તો અને એમાં મોટી સંખ્યાના ભક્તો અને દર્શનાર્થીઓ ભોજન કરતા; એ બધું જોઈને કેટલાક લોકોએ એને સંપત્તિશાળી માનીને એને લૂંટવાની યોજના ઘડી હોય એ સ્વાભાવિક છે.
એકવાર એક સુદૃઢ શરીરવાળા હૃષ્ટપુષ્ટ યુવાને આશ્રમમાં પ્રવેશ કર્યો. આશ્રમમાં આવવા માટે કોઈ જાતની મંજૂરી માગવી નહોતી પડતી અને જે ધારે તેને મહર્ષિના દર્શન સત્સંગનો લાભ હંમેશા કોઈ પણ પ્રકારના અંતરાય વિના મળી રહેતો તે પ્રમાણે એણે મહર્ષિ પાસે પહોંચીને એમને પ્રણામ કર્યા ને નીચે બેસીને સીધો જ સવાલ પૂછ્યો :
‘તમે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ચૂક્યા છો ?’
સંતમહાત્માઓની પાસે પહોંચતાંવેંત જ કોઈપણ પ્રકારના કારણ કે પ્રયોજન વિના એવો પ્રશ્ન પૂછવો યોગ્ય ના ગણાય. એ કાર્ય અવિવેકયુક્ત જ કહી શકાય. મહર્ષિને માટે એવો અનુભવ નવો ના હોવાથી એ શાંત જ રહ્યા. એમને શાંત જોઈને ને પોતાનો પ્રથમ પાસો નિષ્ફળ ગયેલો જાણીને એ યુવાન થોડોક વધારે ઉશ્કેરાયો અને મહર્ષિ કોઈક ભક્તિ ભેટ આપેલા જે વ્યાઘ્રચર્મ પર બેઠા હતા તેને લક્ષ્ય કરીને બોલ્યો :
‘સ્વામીજી, વાઘને મારવામાં પાપ છે ખરું ? ’
પરંતુ એ બીજા અનુચિત પ્રશ્નના ઉત્તરમાં પણ મહર્ષિ કશું જ ના બોલ્યા. એમને સમજી લેતાં વાર ના લાગી કે આગંતુક એમની સાથે અયોગ્ય વાદવિવાદ કરવા માગે છે. યુવાને પોતાના વિચારો વ્યક્ત કરીને પશુઓને મારવામાં પાપ નથી અથવા જો પાપ હોય તો એમાં પ્રકારાન્તરે મહર્ષિનો હિસ્સો છે કારણ કે એ વ્યાઘ્રચર્મનો ઉપયોગ કરી રહ્યા છે એ હકીકતનું સમર્થન એમના જ શબ્દો દ્વારા કરાવવાનો ભરચક પ્રયાસ કરી જોયો પરંતુ એમાં એને નિષ્ફળતા મળી.
ત્યાં બેઠેલા દર્શનાર્થીઓમાંના એકે એ યુવાનને કહ્યું કે આવા વિષયોના સંબંધમાં કોઈ એકતરફી ઉતાવળિયા પૂર્વગ્રહયુક્ત સિદ્ધાંતો બાંધવાને બદલે જે પણ નિર્ણય લેવાય તે જુદા જુદા સંજોગોને વિચારીને લેવો જોઈએ. તો પણ એને સંતોષ ના થયો. એમનું એ સ્પષ્ટીકરણ પૂરું થાય એ પહેલાં જ યુવાને ઉત્તેજનાપૂર્ણ સ્વરમાં કહેવા માંડ્યું :
‘મેં જે પૂછ્યું છે તે તમને નથી પૂછ્યું. એટલા માટે સ્વામી જ એનો ખુલાસો કરે તે બરાબર છે.’
પરંતુ મહર્ષિને એનો ખુલાસો કરવાની જરૂર ના જણાઈ. યુવાનના પ્રશ્નોની પાછળ જિજ્ઞાસાવૃત્તિ નહિ પરંતુ લડાયકવૃત્તિ કામ કરી રહી છે. એને ઓળખતાં વાર ન લાગવાથી એની સાથે નિરર્થક ચર્ચાવિચારણામાં ઊતરીને વખતને બરબાદ કરવાનું એમને જરા પણ યોગ્ય ના લાગ્યું. યુવાને પોતાના પ્રયત્નોને નિષ્ફળ થયેલા જોઈને દસ-પંદર મિનિટ સુધી બોલ્યા વિના જ બેસી રહીને છેવટે હોલનો ત્યાગ કર્યો.
બહાર આવ્યા પછી એક આશ્રમવાસીના પ્રશ્નના ઉત્તરમાં એણે તદ્દન નિઃસંકોચપણે જણાવ્યું કે પોતાની આજીવિકા માટે એ સંપત્તિશાળી મઠો અને આશ્રમો પર આધાર રાખે છે અને એમની ઉપર અવારનવાર આવા છાપા મારે છે. એણે મહર્ષિ ધનવાન છે કે નહિ તે પણ પૂછી જોયું. આશ્રમના વિશાળ ઉદ્યાન અને સુંદર પ્રાંગણને જોઈને એનું મન લલચાયેલું પરંતુ જ્યારે એને ખબર પડી કે મહર્ષિ વધારે ધનવાન નથી ત્યારે એનો ઉત્સાહ ઓસરી ગયો અને એ આશ્રમમાંથી આતિથિ તરીકે ભોજન કરીને પાછો ફર્યો.
એ યુવાનની પદ્ધતિ પ્રામાણિક ના હોવા છતાં પ્રમાણમાં નિર્દોષ હતી. પરંતુ સમાજમાં બીજા કેટલાક એવા લોકો પણ હતા જે ધનપ્રાપ્તિ માટે અનૈતિક, આસુરી, હાનિકારક અને હિંસક સાધનોનો આશ્રય લેતાં જરા પણ ના અચકાતા. આશ્રમવાસીઓ એમનો અનુભવ પણ કરી ચૂકેલા.