ભગવાનની અંગુલિનો લગીર જેટલો સ્પર્શ થવાથી ભક્તનું હૈયું હાલી ઉઠ્યું,
ને તેણે ગાયું : પ્રભુ, તમારા સુધામય સ્પર્શે મારું સર્વસ્વ નાચી ઉઠ્યું છે.
મારા રોમેરોમમાં જાણે કે તંતુવાદન શરૂ થયું છે.
કેટલો આહલાદક ને અમૃતમય છે તમારો સ્પર્શ !
એને આજે અચાનક ને અલ્પરૂપમાં પામીને મારું સારુંયે જીવન ઝંકૃત થઈ ગયું છે,
મારી નાડીનું નૂપુર વાગી ઉઠ્યું છે.
પ્રભુએ સ્વપ્નમાં બીજી વાર પ્રકટ થઈને તેને કહ્યું :
પ્યારા પ્રેમી, હજી તો પાશેરામાં પહેલી પૂણી છે,
ત્યાં જ તારા જીવનમાં તંતુવાદન શરૂ થયું છે,
ને તારું તનમન આમ ઉત્સવમય બન્યું છે, તો આગળ પર શું થશે ?
સ્વપ્નના અનુભવનો આનંદ આટલો અનેરો છે,
ત્યારે તારી સામે સાક્ષાત રીતે પ્રકટ થઈને હું તને આશીર્વાદ ને આલિંગન આપીશ,
ત્યારે તારી દશા કેવી અનેરી થશે ?
ત્યારે મને સહજ સમાધિ થશે, મારા પ્રભુ !
ભક્તે કહ્યું : ત્યારે ખરેખર મારા જીવનમાં અખંડ આનંદનો આવિર્ભાવ થશે.
તમારી દૃષ્ટિના સંગમથી થનારું એ તંતુવાદન ખૂબખૂબ અનેરું હશે.
એની જ હું રાહ જોઈ રહ્યો છું.
- શ્રી યોગેશ્વરજી