તમારાથી દૂર રહેવાનો વિચાર પણ મને ખૂબ ભયંકર લાગે છે.
એમ થાય છે કે આઠે પહોર તમારી પાસે જ બેસી રહું -
આંખમાં આંખ મિલાવીને તમારા આત્માની સાથે ઓતપ્રોત બનીને અનુસંધાન સાધી લઉં,
ને તમારા અખંડ સહવાસનો આનંદ માણી લઉં ...
એમ થાય છે કે આઠે પહોર તમારી પાસે જ બેસી રહું !
અમૃતના આગાર જેવા તમારા મુખમંડળનો આસ્વાદ પામીને સંતોષનો શ્વાસ લઉં,
ને તમારા શીતળ સ્પર્શનો લાભ લઈને કાયમ માટે કૃતાર્થ થાઉં :
એવા વિચારો મારા મનમાં ઉઠ્યા કરે છે.
હે અંતર્યામી, એવા વિચારો મારા મનમાં ઉઠ્યા કરે છે.
તમારાથી દૂર રહેવાનો વિચાર પણ મને ખૂબ ઘાતક લાગે છે;
ને એટલા માટે મારું મન તમારો સનાતન સહવાસ માગે છે.
એટલા માટે જ તે આ જગતમાં જેમતેમ ફરીને પણ જતનપૂર્વક જાગે છે.
- શ્રી યોગેશ્વરજી