મારી પાસે સુવર્ણ, મોતી કે ધનના ભંડાર નથી કે તમારે ચરણે ધરી શકું,
ને એવો વૈભવ નથી કે જેથી તમને છો તેથી વધારે વૈભવી કરી શકું.
મારી પાસે એવું છે જ શું જે તમને આપી શકું ?
રૂપ કે ગુણ પણ નથી જેથી તમને પ્રસન્ન કરી શકું
ને વિદ્યા, કળા કે સાધનાયે નથી જેથી તમારી કૃપાના મંગલ મંદિરના શિખર પર પહોંચી શકું.
મારી પાસે એવું છે જ શું જે તમને આપી શકું -
જેથી તમને પ્રસન્ન ને પુલકિત કરી શકું ?
ને પ્રભુએ પ્રેમીના હૃદયમાં રહીને ધીરેથી કહ્યું :
બીજું કાંઈ નથી, પણ આ હૃદય તો છે ને ?
પ્રેમનો જ હું ભુખ્યો છું.
ને તેથી પ્રસન્ન ને પુલકિત થઈને ક્યારનો હું તારા આ ઉત્તમ આસન પર રમી રહ્યો છું.
- શ્રી યોગેશ્વરજી