કોને ખબર તમારે માટે મારે હજી કેટકેટલાં આંસુની ધારા વહેવડાવવાની છે,
ને કોને ખબર અનુરાગના અનંત સૂરની આટઆટલી માળા પહેરાવ્યા પછી પણ
હજી કેટકેટલી માળા તમારા કંઠમાં અર્પણ કરવાની છે !
કોને ખબર પોકારો ને પ્રાર્થનાની કેટકેટલી પરંપરાને મારે હજી તમારે માટે વહેતી કરવાની છે,
ને તમારા તરસ્યા પ્રાણને માટે મારા પ્રેમની કેટકેટલી પ્યાલી ખાલી કરવાની છે !
દિવસો વહી જાય છે પણ મારી સાધના શાંત થતી નથી.
દિવસે ને રાતે તેની પૂજા એક સરખી ચાલ્યા જ કરે છે.
મધરાતે તો તેની માદકતા અજબ જ બની જાય છે.
કોને ખબર આવી કેટકેટલી પૂજાની સામગ્રી તમારાં ચરણોમાં અર્પણ કરીને
મારે તમારી સેવા કરવાની છે !
- શ્રી યોગેશ્વરજી