કાલે તો મને ખૂબ ખૂબ લાગી આવ્યું -
આંખમાંથી જાણે શ્રાવણ ને ભાદરવો ઉમટી પડ્યા.
તમે મારી પાસે હજી પણ પ્રકટ ના થયાં,
હજી પણ તમે મને તમારા સહવાસનું સુખ ના આપ્યું,
એ વિચારે મારા અંતરને હલાવી દીધું, ને અંગે અંગને કરુણાના મહાગીતથી ભરી દીધું.
મને એકાએક એમ જ થઈ આવ્યું કે આ શું !
મારા જેવા એકાંતપ્રેમી ને ત્યાગી પુરુષને વળી આ શું !
તમને જોવાની આટલી બધી ઝંખના મને શા માટે થયા કરે છે ?
તમારા વિના હું શા માટે નથી ચલાવી શકતો ?
શા માટે હૃદય તમારા તરફ આટલું બધું ખેંચાયા કરે છે ?
ચોમાસાના પૂરની પેઠે મારા પ્રેમની નદીમાં આટઆટલું પૂર શા માટે ઉઠ્યા કરે છે ?
એકવાર તો એમ પણ થયું કે તમારા આ તલસાટ પર ભલે વૈરાગ્ય કરું, પણ ના.
તમે તો મારા પ્રાણ છો, જીવનધન છો, ને તમારે માટેનો તલસાટ તો મારું સર્વકાંઈ છે;
મારો સ્વભાવ છે. જે મારે માટે સ્વાભાવિક છે તેને હું કેવી રીતે છોડી શકું ?
તેને છોડીને સુખ પણ ક્યાંથી મેળવી શકું ?
એ વૈરાગ્યની મારે જરૂર નથી જે તમારા પ્રેમને ભૂલવાનો પાઠ આપે,
જે મારા જીવનના મૂળમાં જ ઘા કરે.
એવા ત્યાગની ને જ્ઞાનની મારે જરૂર નથી જે તમને મૂકી દેવાની -
આપણા આ અખંડ આનંદદાયક ને પ્રાણદાયક અનુરાગનો જ ત્યાગ કરવાની વાત કરે.
ના, એ સાધના મને પસંદ નથી.
હું તો તમારે માટે તલસીશ, ઝંખીશ, રડવું પડે તો રડીશ,
ને તમને મારાં કરીને જ છેવટે જંપીશ.
તમારા વિના જીવન ને મરણ વચ્ચે તફાવત જ શો રહે તે મને કહેશો ?
છતાં પણ આજે મારી આંખ એકાએક ભીની તો થઈ ગઈ.
- શ્રી યોગેશ્વરજી