તમે મારી કસોટી શા માટે કરી રહ્યા છો ?
એવા અનેક બોલ તમે બોલ્યા કરો છો જેનું રહસ્ય ઘણું ઊંડું હોય.
મને લાગે છે કે મારી કસોટી કરવા માટે જ તમે આ બધું બોલી રહ્યા છો.
તમે કહો છો કે તમારા ભક્તોને તમે સૂરજ જેવાં લાગો છો.
તમને જોતાંવેંત જ તેમનું તન ને મન ગરમ થઈ જાય છે,
ને અંતરમાં કામવાસનાના અંકુરો ઉગવા માંડે છે.
આ બાબત મારા જેવો સાધારણ માણસ શું કહી શકે ?
છતાં તમે પૂછો છો ત્યારે ન છૂટકે કહું છું કે બીજાને માટે ગમે તેમ હોય,
મારે માટે તો તમે સુધાના સાગર એવા આ ચંદ્રમાના જેવા ઠંડા ને અમૃતમય છો.
તમારી હાજરીમાં તન, મન ને અંતર શીતળ બને છે,
ને એક જાતના અલૌકિક અતીન્દ્રિય આહલાદનો અનુભવ કરે છે.
વાસના ઉઠતી જ નથી ને વિકાર પણ સઘળા જ શાંત બને છે.
તમને જોતાં વેંત જ જાણે કે અમૃતપદ મળે છે.
જેને કમળો થયો હોય તે બધે પીળું જ જુએ છે :
તેમ જે કાળું છે તેને મન તમારું રૂપ ગમે તેવું હોય, મારે માટે તો તે મંગલ છે.
મધુરથી પણ મધુર ને મુક્તિદાયક છે.
- શ્રી યોગેશ્વરજી