તમારા વિના મારે માટે આટલો મહાન ત્યાગ બીજું કોણ કરી શકે ?
તમારા વિના બીજા કોઈનુંય ગજું નહિ.
બીજા કોઈની કલ્પનામાં પણ આવા સ્નેહસમર્પણની વાત ના આવી શકે.
તમારા વિના આવો મહાન ત્યાગ બીજું કોઈયે ના કરી શકે.
તમારા બધા જ રહસ્યને તમે મારી આગળ ખુલ્લા કર્યા છે,
ને વારંવાર મારું જીવની જેમ જતન કરીને મને અસીમ સુખ ધર્યું છે.
સંસારમાં માતાપિતા ને સર્વ કોઈ હોવા છતાં
તમે મારી સાથે સંબંધ બાંધવાનું પસંદ કર્યું છે ને મને દિલ ધર્યું છે.
મને ખબર છે કે તમને પણ તેનાથી કાંઈક સુખ મળ્યું છે.
છતાં કોઈ કોઈવાર વિચાર આવી જાય છે
કે મારે માટે આવો મહાન ત્યાગ બીજું કોણ કરી શકે ?
ને તેથી જ મારું હૃદય સહજ રીતે ને સતતતાથી તમારી તરફ વહ્યા કરે
એમાં કાંઈ આશ્ચર્ય જેવું લાગે છે ?
- શ્રી યોગેશ્વરજી