મારા અંતરમાં પ્રેમનો જે પરમ અર્ણવ ઉછાળા મારી રહ્યો છે,
તેને પ્રાપ્ત કરવાનાં સાધન જ મારી પાસે ક્યાં છે ?
પ્રેમ આત્માની વસ્તુ છે તે હું જાણું છું.
પણ તેને પ્રકટ કરવાનાં સાધન મારી પાસે કેવળ ત્રણ જ છે :
દૃષ્ટિપાત, વચન ને સ્પર્શ.
આંખની અંદર મારી ઊર્મિ ને મારી ભાવનાની ભરતી કરીને
હું તમારી આગળ મારા હૃદયને પ્રકટ કરું છું;
વાણી દ્વારા તેની અભિવ્યક્તિ કરું છું;
વાણીમાં મારા અનુરાગને વહેતો મૂકું છું;
ને શરીરના વાહન દ્વારા તમારે માટેના મારા ઉરના ઉમળકાને નિરંતર પ્રકટ કરું છું.
તમે જ કહોને કે શરીર વિના મારા અંતરના અનુરાગને હું કેમ કરીને કહી બતાવું ?
માટે હું તો શરીરની ઉપેક્ષા નહિ જ કરું.
શરીર દ્વારા પણ હું તમને પ્રેમ કરીશ, પુષ્કળ પ્રેમ કરીશ,
ને મારી દૃષ્ટિ ને વાણીમાં પણ તમને સમાવી દઈને આ સંસારમાં શ્વાસ લઈશ.
- શ્રી યોગેશ્વરજી