જંગલમાં જતાં આજે જવાસાના છોડને જોયો.
ચાલતાં ચાલતાં અચાનક મને તેના કાંટા વાગ્યા ને હું તેની પાસે ઉભો રહ્યો
તો તેણે કહ્યું : પ્રભુ મારા હૃદયને જાણો છો ?
ઉનાળાના તાપમાં બધું બળીને ખાખ થઈ જાય,
ત્યારે હું લીલોછમ રહું છું ને જીવનનો આનંદ લઉં છું.
પણ ચોમાસામાં કરમાઉં છું, જીવનથી હાથ ધોઈ બેસું છું.
મને તેની વાત જરા વિચિત્ર લાગી.
મેં કહ્યું : તારી વાત ઘણી ન્યારી ને સારી છે.
સંસારને સારું તારામાં સુંદર શિક્ષા સમાયેલી છે.
દુઃખ ને પરિતાપમાં માણસે મુંઝાવાનું ને મુરઝાવાનું નથી,
પણ જીવનમાં આનંદ લુંટતાં શીખવાનું છે,
ને રસની રેલમછેલમાં તટસ્થ રહીને
ઉદાસીન બની પોતાની બાહ્ય રસવૃત્તિને હળવી કરવાની છે.
તેણે સ્મિત કરતાં મારી વાતને મંજૂર રાખી.
- શ્રી યોગેશ્વરજી

