તમારી છાતી પર સુઈને
તમારી આંખના અમીને પીતાંપીતાં
હું તમારાં ગીતોની રચના કરું
ને તે ગીતોના રસનું તમને પાન કરાવું તો કેટલો આનંદ આવે !
શું એવો દિવસ પણ કદિ આવશે
જ્યારે તમારા આલિંગનમાંથી હું એક પળ પણ અળગો નહિ થાઉં,
ને તમને છોડીને બીજે ક્યાંય નહિ જાઉં ?
વહાલની વર્ષાથી ન્હવડાવતાં હું તમને મારું સ્નેહસંગીત સંભળાવ્યા કરીશ,
ને તેમાં તરબોળ બની તમે તમારા આલિંગનને ગાઢ કરશો,
કદિક મારી સામે દેવદાસીની જેમ નર્તન કરશો,
તો કદિક મારી સાથે ગાવા માંડશો.
એ સોનેરી દિવસ મારા જીવનમાં ક્યારે આવશે ?
- શ્રી યોગેશ્વરજી