તમે મને ગાઢ આલિંગન આપો છો ને આપણાં અંગો એકાકાર બની જાય છે,
ત્યારે મારી દશા કેવી અનેરી થઈ જાય છે !
સમાધિનું સહજ સુખ તે વખતે સાકાર થાય છે !
અંગેઅંગમાંથી તંતુવાદન શરૂ થાય છે, ને મન કોઈ મહોત્સવમાં શામેલ થાય છે.
તમે મને ગાઢ આલિંગન આપો છો ને આપણાં અંગો એકાકાર બની જાય છે,
ત્યારે મારી દશા કેવી અનેરી થાય છે !
તમારા અંગથી અળગા થવાની મારી ઈચ્છા થતી નથી,
ને આંખ તમારી અમૃતમય આંખથી દૂર હઠતી નથી.
એવી શાંતિ મને બીજે ક્યાંય મળતી નથી.
વિકાર ને વાસના તો ઉઠતાં જ નથી.
યોગ, જ્ઞાન ને ભક્તિના ભંડાર ત્યારે ઝાંખા લાગે છે.
એમ થાય છે કે આ રીતે આપણે પડ્યા જ રહીએ -
પ્રેમ ને પવિત્રતાની પ્રતિમા જેવાં,
સંયમના સાકાર સ્વરૂપ સરખાં આપણે પડ્યાં જ રહીએ.
- શ્રી યોગેશ્વરજી

