न संदृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम् ।
हृदा हृदिस्थं मनसा य एनमेवं विदुरमृतास्ते भवन्ति ॥२०॥
na sandrse tisthati rupamasya
na chaksusa pasyati kaschanainam ।
hrda hrdistham manasa ya ena-
mevam viduramrtaste bhavanti ॥ 20॥
દિવ્યરૂપ તે પ્રભુનું કો’દી દૃષ્ટિ સામે ના આવે,
કોઈપણ પ્રાકૃત નેત્રોથી તે ઈશ્વરને ના ભાળે;
ભક્તિભર્યા મન ને અંતરથી તે પ્રભુની ઝાંખી થાયે,
દિવ્ય આંખથી જોઈ લે તે અમૃતરૂપ બની જાયે. ॥૨૦॥
અર્થઃ
અસ્ય - આ પરમાત્માનું
રૂપમ્ - સ્વરૂપ
સંદૃશે - દૃષ્ટિ સમક્ષ
તિષ્ઠતિ ન - ઉભું રહેતું નથી
એનમ્ - આ પરમાત્માને
કશ્ચન - કોઇપણ
ચક્ષુષા - ચક્ષુથી
ન પશ્યતિ - જોઇ શકતું નથી.
યે - જે
એનમ્ - આ
હૃદિસ્થમ્ - હૃદયમાં રહેલા પરમાત્માને
હૃદા - ભક્તિપૂર્ણ હૃદયે (અને)
મનસા - દ્રઢ નિર્મળ મનથી
એવમ્ - આવી રીતે
વિદુઃ - જાણી લે છે.
તે- તે
અમૃતાઃ - અમૃત સ્વરૂપ
ભવન્તિ - બની જાય છે.
ભાવાર્થઃ
એ પરમાત્માને સ્થૂળ, મલિન, વાસનાયુક્ત, ચર્મચક્ષુથી કોણ જોઇ શકે ? કોઇપણ નહિ. એમના દર્શન માટે તો સ્થૂળને બદલે સૂક્ષ્મ અને પ્રાકૃતને બદલે દિવ્ય દૃષ્ટિની જ આવશ્યકતા હોય છે. ભક્તિભાવથી ભરેલા, નિર્મળ મનના સત્પુરુષો એમના અલૌકિક અનુગ્રહથી એમની ઝાંખી કરી શકે છે. એ પરમાત્મા હૃદયપ્રદેશમાં વિરાજે છે. ત્યાં સાધના દ્વારા એમના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાથી જીવન શાંતિથી સંપન્ન, સુખમય અને અમૃતમય બને છે.