यदा चर्मवदाकाशं वेष्टयिष्यन्ति मानवाः ।
तदा देवमविज्ञाय दुःखस्यान्तो भविष्यति ॥२०॥
yada charmavadakasam vestayisyanti manavah ।
tada devamavijnaya duhkhasyanto bhavisyati ॥ 20॥
મનુષ્ય જ્યારે વ્યોમ લપેટી લેશે ચર્મસમું અંગે,
ત્યારે દૂર થશે દુઃખ સઘળાં જાણ્યા વિના જ તે પ્રભુને.
સૃષ્ટિ બધીયે મળે છતાંયે વ્યોમ લપેટી ના જ શકે,
તેમ દુઃખો ના મટે જ્યાં લગી પરમાત્માને ના જાણે. ॥૨૦॥
અર્થઃ
યદા - જ્યારે
માનવાઃ - માનવો
આકાશમ્ - આકાશને
ચર્મવત્ - ચામડાની પેઠે
વેષ્ટ યિષ્યન્તિ - લપેટી લેશે
તદા - ત્યારે
દેવમ્ - પરમાત્માને
અવિજ્ઞાય - જાણ્યા વિના જ
દુઃખસ્ય - દુઃખનો
અંતઃ - અંત
ભવિષ્યતિ - થઇ શકશે.
ભાવાર્થઃ
દેવોના દેવ પરમદેવ પરમાત્માને જાણ્યા કે પામ્યા વિના માનવ દુઃખ, બંધન, અને અશાંતિમાંથી કદી પણ છૂટી શકે ખરો ? ના. સ્વપ્ને પણ ના છૂટી શકે. એ વાતને વધારે સ્પષ્ટ કરતાં આ શ્લોકમાં કહેવામાં આવે છે કે આકાશને ચામડીની પેઠે વિંટવાનું કાર્ય કોઇપણ માનવને માટે અને સંસારના સધળાં માનવોને માટે અશક્ય છે તેમ પરમાત્માના સાક્ષાત્કાર વિના કોઇને પણ સનાતન સુખશાંતિ નથી સાંપડી શકતી.