શારદીય સવારની સુવાસિત શીતળ સમીરલહરી મારા એકાંત આશ્રમની આજુબાજુ – અંદર ને બહાર ફરી વળે છે તેમ, તારી સુધામય સિતારનું સનાતન સ્વર્ગીય સ્નેહસંગીત મારા અણુએ અણુમાં ભલે ફરી વળે ને તન, મન, અંતરને તારા અનુરાગે અલંકૃત કરે.
તેજસ્વી છતાં શાંત તારક થઈને અનંતકાળ લગી એ ભલે ટમક્યા કરે; ફૂલમાં ફોરમ, નદીમાં નીર, જડમાં જીવન થઈને ભલે ફરી વળે !
તારું સનાતન સુધામય સ્વર્ગીય સ્નેહસંગીત મને તો પોતાના મહિમાથી ભરે જ, પણ આખી અવનીને – અવનીના અણુએ અણુને પણ ભલે આહ્ લાદિત કરે; મહીને મધુતાથી મંડિત કરે; સૂકી ને સૂની સિતારનું સર્વસ્વ બને; ઓ મારા મહાકવિ, મારા સનાતન સંગીતકાર ! સૃષ્ટિને સંવાદે ભરે, પ્રાણ ધરે.
- શ્રી યોગેશ્વરજી