અભાવ અને અંધકાર ક્યાં નથી ?
પરંતુ એનો અંત પણ છે, અવશ્ય છે.
પ્રસન્નતા, પ્રકાશ, પરિમલને ખોઈ બેઠેલું પ્રતીચીનું પદ્મદલ ખીલી ઊઠ્યું અને અંધકારનો અંત આવ્યો.
વેદના, વ્યથા, વલવલાટ ક્યાં નથી ? કોના જીવનમાં નથી ?
પરંતુ એનો અંત પણ છે; અવશ્ય છે.
વેદનાનું મર્મભેદક ગીત ગાતા સાગરનું હૈયું જોતજોતામાં તો હિલોળે ચઢ્યું, પૂનમના ચંદ્રની સામે મસ્તીમાં મગન બનીને એણે પોતાનું વહાલ ઠાલવવા માંડ્યું.
દુઃખ અને દીનતા ક્યાં નથી ?
પરંતુ એનો અંત પણ છે; અવશ્ય છે.
માળીએ આવીને આ વેરાન વનને ઉપવનમાં પલટાવી દીધું : ધરતી સુખી થઈ, લીલીછમ બની ગઈ, લોકોને માટે તીરથથી પણ વિશેષ થઈ !
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)