સમુદ્રના વિશાળ તટ પર મારો અને એનો મેળાપ થઈ ગયો. બે હાથે સમુદ્રનું પાણી લઈને એ બહાર ફેંકતો હતો.
મારી જિજ્ઞાસાના જવાબમાં એણે કહ્યું : સાગર ગમે તેટલો વિશાળ હોય તોપણ એને હું આ રીતે જરૂર ખાલી કરીશ ને સૂકવી શકીશ. મને મારામાં વિશ્વાસ છે.
મારી આંખમાં આંખ મિલાવીને એણે કહ્યું : પરમાત્માનો પાર પામવાની કોશિશમાં હું સફળ થઈશ તો હું શું મારા આ કામમાં સફળ નહિ થઉં ?
તે દિવસથી જ્ઞાનના ગ્રંથોનો મોહ મૂકી દઈ ને તીખા તપની સાધના છોડી દઈને, ઓ મારા પ્રાણાધાર, મેં તને ચાહવાનું ને ગાવાનું શરૂ કર્યું. તારા સ્નેહના ક્ષીરસાગરમાં સ્નાન કરવા સૌને સન્માન સાથેનું આમંત્રણ આપ્યું.
તે દિવસથી મારું નામ કવિ થયું !
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)