સ્નેહના સચોટ છતાં મૂક સંદેશ આપતો સાગર ચમકારા કરતી ચારુ ચંદ્રકલા સામે ઉછળે છે, એમાં કોઈને નવાઈ લાગે છે ખરી ?
વરસાદી વાદળીને વિલોકીને કલાપી કેકારવ કરે છે, કામણગારો થઈને નાચે છે. ઉષાદર્શનથી ઉન્મત્ત થયેલું ઉડુગણ શરીરનું ભાન ભૂલીને સહજ સમાધિમાં લીન થાય છે.
ગુલાબ, ચંપા, ચમેલી, માલતી ને મોગરાની પાસે ભ્રમરનાં ટોળેટોળાં એકઠાં થાય છે. વહાલભૂખી વલ્લરી વૃક્ષના વિશાળ વક્ષઃસ્થળ પર વીંટળાય છે. સ્નેહનું સનાતન સંગીત ગાતી સરિતા, વનને વીંધતી ને પર્વતને પસાર કરતી, કોણ જાણે કેવા કેવા કોડ લઈને, સિંધુમાં સમાવા જાય છે ! અરે, જડ કહેવાતા પત્થર પણ ધૂળની સાથે એક થઈને પથ પર પડ્યા રહે છે; એ જોઈને કોઈને નવાઈ લાગે છે ખરી ?
તમને જોઈને મારું હૃદય ને રોમેરોમ રાગે રંગાય છે, ઉછાળા મારે છે, એમાં પણ શી નવાઈ છે ? ચંદ્ર ને શુક્રની તારિકા અથવા આભ ને ધરતીની જેમ, આપણો સાથ સનાતન, આપણું આકર્ષણ અમર છે.
(૧૩-૪-૧૯૬૦, બુધવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)