એક સુપ્રસિદ્ધ સાહિત્યરસિકે શરદની શીતળ સવારે સરિતાતટે બેઠેલા લેખકની મુલાકાત લીધી. લેખક ધંધાદારી ઢબે લખતો હતો તેને તેણે પૂછ્યું : ‘તમારા સાહિત્યમાં પ્રેરણાનો ભાગ કેટલો ને પરિશ્રમ કેટલો ?’
લેખકે કહ્યું, કયી પ્રેરણા? પ્રેરણાને હું નથી માનતો. પ્રેરણાની વાતો બનાવટી ને નકામી છે. હું તો એટલું જ જાણું કે સાહિત્યના સર્જનમાં નવ્વાણુ ટકા પ્રસ્વેદ અને એક ટકો પ્રેરણા, જો હોય તો, હોય છે.
વસંતની તાજી વાયુલહરી વનમાં વિહરી રહી’તી એવી એક બીજી સવારે, એ જ સરિતાતટે, એને કોઈક કવિ કે ફિલસૂફનો મેળાપ થયો. એ જ પ્રશ્નના ઉત્તરમાં એણે કહેવા માંડ્યું : ભાઈ, બીજાની તો મને ખબર નથી, પણ મારા સાહિત્યસર્જન પાછળ તો મોટો હિસ્સો પ્રેરણાનો ને બહુ જ થોડો પ્રસ્વેદનો હોય છે. બાકી તો તને જે ઠીક લાગે તે તું સમજી લે.
સાહિત્યરસિકને બંને વાર્તાલાપોમાંથી અસાધારણ ને સાધારણ સાહિત્યના રહસ્યનો ઉકેલ મળી ગયો. એનો સંશય ટળી ગયો.
(૨૦-૪-૧૯૬૦, બુધવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)