ડુંગરની બે લીલીછમ ટેકરીની વચ્ચેથી નદી નીકળે તેમ, તમારા વહાલનું વહેણ મારા અંતરની અંદર વહ્યા કરે છે. ગમે ત્યાં જઉં ને ગમે તે કરું, મધુરી વીણા વાગતી હોય તેમ, એનો મનમોહક મીઠો સ્વર છૂટ્યા જ કરે છે.
આ જ છે મારા સુખ, આનંદ, મારી શાંતિ તથા મુક્તિનું રહસ્ય : આ જ છે એની ગુરૂકૂંચી : આંખ, અંતર અને અંગેઅંગમાં તમારો અનુરાગ. એનો આવિર્ભાવ ક્યાંથી, કેવી રીતે, ક્યારથી થયો તેની ખબર નથી; પણ એ થયો છે અત્યંત આહ્લાદક અને આશીર્વાદરૂપ એમાં શંકા નથી.
તમે ને તમારે માટેનો એ અનુરાગ મારા જીવનમાં, અંતરમાં, અણુએ અણુમાં અમર રહો : આજના પર્વદિવસે એટલું જ ઈચ્છું છું.
(૨૯-૪-૧૯૬૦, શુક્રવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)