જીવનના રસાળ રંગમંચ પર, મારે ફાળે આવેલો અભિનય કરતાં, ડગલે ને પગલે મારા આત્માને વફાદાર રહું છું ને રાજી રાખું છું. સૌ કોઈને નથી રીઝવી શકતો તેને માટે લાચાર છું.
વિરોધનાં વાદળ ઉમટે છે, વિપત્તિની વર્ષા વરસે છે. મિત્રો, સ્નેહીજનો, જેમને પોતાનાં માનીને માયા કરેલી તે બધાં જ એક કે બીજા કારણે છોડી જાય છે. પ્રશંસા કરનારા તથા પીઠ પંપાળનારા પ્રતિકૂળ થઈને નિંદા કરે છે, કાદવ ઉછાળે છે. તોપણ, લીધેલો માર્ગ નથી છોડી શકતો, ડરી જઈને પીછેહઠ પણ નથી કરતો, તેને માટે લાચાર છું.
સુખસાહ્યબી, સત્તાસંપત્તિ, સુંદરતાથી અંજાઈને, એ સૌની લાલસાથી, જાતને વેચી, મારા સિદ્ધાંતોને મેલી નથી શકતો. વિવેકને નેવે મૂકીને, આંખ, કાન, અંતરના બારણાને બંધ કરીને, બીજાની હામાં હા નથી કરતો, તેને માટે લાચાર છું.
સ્વાર્થ ઘવાતો હોય તોપણ કોઈનું દુઃખ દેખીને દ્રવ્યા વિના, તેને મદદ કર્યા વિના નથી રહી શકતો. કોઈ અપમાન કરે, બૂરું બોલે, ને કોઈ નિંદે, તિરસ્કારે કે દુશ્મનાવટથી જુએ, તોપણ કોઈને દુશ્મન કરી કે કહી નથી શકતો. તેને માટે લાચાર છું.
છેલ્લે છેલ્લે, તમને ગમે કે ના ગમે, કોઈને પસંદ પડે કે ના પડે, પણ કવિ થઈને કવિતા કર્યા વિના નથી રહી શકતો, અનુરાગની અંજલિ તમને આપ્યા વિના નથી રહી શકતો, તે માટે પણ લાચાર જ છું.
(૨૨-૫-૧૯૬૦, રવિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)