સૂર્યના એક જ કિરણસ્પર્શથી ખીલી ઊઠેલાં કમલદલ જેમ અલૌકિક આનંદનો અનુભવ કરે છે ને ધરે છે, તેમ તમારા એક જ કૃપાકટાક્ષે મારા કાળજાને કામણ કર્યું છે. જીવનમાં જાદુ ભર્યું છે, આનંદની અનેરી સૃષ્ટિનું સર્જન કર્યું છે.
સામે ઊભેલી પર્વતમાળા પહેલાં આવી લીલીછમ ક્યાં હતી ? પહેલાં તો ભયંકર લાગતી. પંખી પણ ત્યાં જઈને કિલ્લોલ કરતાં ગભરાતાં. પરંતુ પછી વરસાદની ઋતુ આવી અને એની કાયાપલટ થઈ ગઈ. હવે તો એ લીલીછમ બની ગઈ છે. પંખી એમાં કિલ્લોલ કરે છે, સુમન સુવાસ રેલે છે, સરળ શિશુ જેવાં ઝરણ એની સોડમાંથી સફર કરતાં, સુમધુર સંગીત ધરતાં, નીકળી પડે છે !
મારાં અંતરનું પણ એવું જ છે. એની સૂકી ધરતી તમારી સ્નેહસુધાના સીંચનથી લીલી થઈ છે, સુવાસિત બની છે, એમાંથી જાતજાતની રાગરાગિણી નીકળી રહી છે.
તમે મારી વર્ષા છો, વસંત છો; મારે માટે સૂરજ છો, એથીયે વિશેષ છો. જીવનમાં જે કાંઈ શુભ ને સુંદર, સરસ ને શોભાસ્પદ, શ્રીયુક્ત ને સનાતન છે, તે તમારે લીધે જ છે. તેનો યશ એક તમને ને તમને જ ઘટે છે.
(૨૮-૫-૧૯૬૦, શનિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)