માનવના પ્રાણમાંથી પ્રકટ થતા, વિવિધરૂપે રજૂ થતા પ્રેમના ભાવો મિથ્યા છે એમ હું નથી માનતો. કેવી રીતે માનું ? સંસારમાં કશું જ મિથ્યા ને માટે જ ઓછું માનપાત્ર નથી.
આ ભાવો ક્યાંથી આવે છે ? દિલની અંદર વિરાજેલા દેવની એ મૂંગી ભાષા છે. એ જ્યારે વાત કરે છે, પોતાનો પરિચય ધરે છે, એકતાની આરાધના કરે છે, ત્યારે એ ભાવો આપોઆપ જ આવિર્ભાવ પામે છે.
એ રીતે એમનું અવલોકન કર તો એમાં કશું જ નીરસ નહિ લાગે; કશું જ મિથ્યા જેવું નહિ લાગે.
એ ભાવનાથી એમનો આધાર લે ને સત્કાર કર તો એ તારે માટે કલ્યાણની કેડી થઈ જશે: તને નવી, વધારે સુંદર દૃષ્ટિની પ્રાપ્તિ થશે: પ્રેમ તારે માટે પ્રભુતાની પગદંડી બનશે.
(૯-૬-૧૯૬૦, ગુરૂવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)