સૌનેય છે જવાનું, અંતે અલગ થવાનું,
વૃક્ષોતણી ઘટામાં સૌન્દર્યની છટામાં
કૂજે વિહંગ ક્રીડે ને ક્રૌંચ વાયુ ગાયે
બેસી પરબ પરે ત્યાં પાછા પથે જવાનું.
અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના
કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ;
ઘંટારવો પૂજારી સાહિત્ય ને પૂજાનું
દીપકશિખા બધુંયે સ્મૃતિના ઉરે સમાયું.
મંદિર રહ્યું ન એવું આરાધના ન એવી
છે કાળદેવતાએ ક્રીડા કરેલ કેવી?
સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
ના કિન્તુ પ્રેમને કો સ્વાહા કરી જવાનું,
ટૂંકા પ્રવાસમાં જે સાથી મળે, મળીયે
તે સર્વને હૃદયથી, ભાવે ભળી જવાનું.
- શ્રી યોગેશ્વરજી