દેહધારણથી દૈવી જનતા લાભ પામતી
જીવ્યાથી જેમના પામે સુખ ને શાંતિ માનવી,
છાયા સંતપ્તને અર્પે, તેજ રેલે તમિસ્ત્રમાં,
પિપાસુને ધરે પાણી મીઠી પરબ જે બની;
આધાર અન્યને માટે બની શ્રેષ્ઠ સનાતન
સર્જે નરકમાં સ્વર્ગ, જંગલે ઘોર મંગલ.
ભૂલેચૂકે બગાડે ના કોઇનું સ્વપ્નમાંય ને
સુધારે બગડેલાને પ્રાણ દે મૃતપ્રાયને;
આશીર્વાદસમા એવા આત્માઓ વરદાનશા
વિભુના, એમનાં સ્પર્શે પૃથ્વી પાવન થાય આ.
જવાથી જેહના પામે પીડા કે શોક માનવી
રડે મૃત બને એવી જિંદગી ધન્ય જાણવી.
તમે એમ જ જીવીને તિરોધાન ગયાં બની
સાફલ્ય જન્મનું સાધ્યું મૃત્યુને ધન્યતા ધરી.
- શ્રી યોગેશ્વરજી