કાચના ઘરને બનાવી કાચના
કોચ પર બેસી રમકડાં કાચનાં
રમે બાળક, કાચનો કૂવો કરી
કલ્પનાના પાન પાણીનું કરે,
કાચમાં ભોજન કરી શમવે ક્ષુધા,
કાચના વટવૃક્ષની શીળી સઘન
છાંયડીમાં કાળજાકેરી વ્યથા
કહે, સળગે છેવટે વડવાગ્નિમાં.
કાચના ઘરમાં રહેતાં આપણે
અહર્નિશ તપી રહેલાં તાપણે;
અગ્નિજ્વાળામાં જલે ક્યારે બધું
નિશ્ચયાત્મક ના કહેવાયે કશું.
કાચ તૂટે ના કહેવાયે કદા
છતાં પોતાને સુરક્ષિત માનતા
અજ્ઞ બીજા કોણ એ પંડિતસમા ?
- શ્રી યોગેશ્વરજી