આ કાળચક્ર નવ રાહ જુએ કશાની
દોડે સમીર ગતિથી, દિન તેમ રાત
ને રાતનો દિન કરે, મહિના બનાવે,
માસોથકી વરસ ને વરસો કરીને
અંતે યુગો પણ રચે સ્મૃતિને જગાવી
મીઠી કરે વિસ્મૃતિ, સર્જનની ક્રિયાને
માંડી વિસર્જન કરે, અપવાદ કોઇ
એને નથી; નવ કરે પળની પ્રતિક્ષા.
પૂરા થયા છ મહિના તમને ગયાને,
ના શોક થાય, ન વ્યથા વસમી છતાંયે
આદર્શ યાદ કરતાં સુકૃતો તમારાં
પામ્યા અખંડ નિતનૂતન પ્રેરણાને.
આ કાળચક્ર બળવાન ભલે ગણાયું,
તેની હશે ઉપર સ્થાન સદા તમારું.
- શ્રી યોગેશ્વરજી